Twin Rube Underwater Tunnel: મોદી કેબિનેટે આજે શનિવારે (14 ફેબ્રુઆરી) આસામમાં બ્રહ્મપુત્રા નદીની નીચે ગોહપુર અને નુમાલીગઢ વચ્ચે રેલ અને રોડ ટનલ બનાવવાની મંજૂરી આપી દીધી છે. આ અંડરવોટર ટ્વિન ટ્યુબ રોડ ટનલ બનવાથી 240 kmનું અંતર ઘટીને માત્ર 34 km રહી જશે. બ્રહ્મપુત્રા નદીની નીચે 15.8 km લાંબી ટનલ બનાવવામાં આવશે.

 

દેશમાં પ્રથમ વખત ટ્વિન-ટ્યુબ અંડરવોટર ટનલ બનવા જઈ રહી છે. આ ટનલમાં વાહનો અને ટ્રેનો બંને ચલાવવાની સુવિધા હશે. આનાથી કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં સેના અને દારૂગોળાની અવરજવર ઝડપથી થઈ શકશે. એક ટ્યુબમાં સિંગલ રેલ ટ્રેકની સુવિધા હશે.

કેવી હશે ટનલની ડિઝાઈન

નિષ્ણાતોના જણાવ્યા મુજબ, તેને એવી રીતે ડિઝાઈન કરવામાં આવશે કે જ્યારે આ ટનલમાંથી ટ્રેનો પસાર થશે ત્યારે કોઈ વાહન ચાલી શકશે નહીં. આમાં બેલેસ્ટિક ટ્રેક હશે અને ટ્રેનો વીજળીથી ચાલશે. ટનલ, એપ્રોચ રોડ અને રેલવે ટ્રેક સહિત 33.7 કિલોમીટરના આખા પ્રોજેક્ટ પર અંદાજે 18,600 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. આ પ્રોજેક્ટનો ખર્ચ માર્ગ પરિવહન, રેલવે અને સંરક્ષણ મંત્રાલય સંયુક્ત રીતે ઉઠાવશે.     

કલાકોની મુસાફરી હવે મિનિટોમાં

તમને જણાવી દઈએ કે 2 લેનવાળી 2 યુનિડાયરેક્શનલ સુરંગો તરીકે ડિઝાઈન કરાયેલી આ સુરંગો બ્રહ્મપુત્રાના સૌથી ઊંડા તળિયેથી 32 મીટર નીચે બનાવવામાં આવશે. આ પ્રોજેક્ટ 5 વર્ષમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. તે બની ગયા પછી ગોહપુર અને નુમાલીગઢ વચ્ચેની મુસાફરીનો સમય સાડા છ કલાકથી ઘટીને માત્ર 34 મિનિટ રહી જશે. તેનાથી અંતર 240 કિલોમીટરથી ઘટીને માત્ર 34 km થઈ જશે.   

નોર્થ ઈસ્ટને મોટી ભેટ

આ અંડરવોટર ટનલ બની ગયા પછી અરુણાચલ પ્રદેશ, મણિપુર અને અન્ય નોર્થ ઈસ્ટ રાજ્યો સાથે કનેક્ટિવિટી વધુ સારી બનશે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે નાણા મંત્રાલયે માર્ગ પરિવહન મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલય દ્વારા 80:20 ફંડિંગની જોગવાઈ સાથે અંદાજે 14,900 કરોડ રૂપિયાના ખર્ચવાળી સુરંગને લીલી ઝંડી આપી હતી.