નવી દિલ્હીઃ કોગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કોરોના વાયરસની મહામારી સામે કરવામાં આવી રહેલા ઉપાયો પુરતા ન હોવાની વાતને લઇને કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન મોદી પર શાબ્દિક હુમલો કર્યો હતો. ગાંધીએ ટ્વિટ કરી જણાવ્યું કે, લોકો પાસે તાળી વગાડવા અને દીવો સળગાવવાથી કોરોનાની સમસ્યા દૂર નહી થાય. તેમણે આરોપ લગાવ્યો હતો કે વડાપ્રધાનને કોઇ ચિંતા નથી. રાહુલ ગાંધીએ કહ્યું કે, કોરોના વાયરસનો સામનો કરવામાં ભારત પુરતી સંખ્યામાં ટેસ્ટિંગ કરી રહ્યું નથી. લોકો પાસે તાળી વગાડવા અને દીવો સળગાવવાથી આ સમસ્યા દૂર નહી થાય.



વાસ્તવમાં  વડાપ્રધાન મોદીએ છેલ્લા દિવસોમાં જનતા કર્ફ્યૂના દિવસે દેશવાસીઓને સાંજે 5 વાગ્યે 5 મિનિટ સુધી કોરોના વિરુદ્ધ લડતા લોકો પ્રત્યે સન્માનના રૂપમાં તાળી, થાળી વગાડવાની અપીલ કરી હતી. હવે વડાપ્રધાને લોકોને કોરોના વિરુદ્ધ જંગમા એકતા બતાવવા રવિવારે રાત્રે 9 વાગ્યે લાઇટ બંધ કરી 9 મિનિટ સુધી મીણબતી, દીવો પ્રગટાવવાની અપીલ કરી છે.

કોગ્રેસ નેતાએ પોતાના ટ્વિટ સાથે એક ટેમ્પલેટ શેર કર્યું છે જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ભારત પુરતા પ્રમાણમાં ટેસ્ટિંગ કરી રહ્યું નથી. ટેમ્પલેટમાં તમામ દેશોમાં પ્રતિ 10 લાખની વસ્તી પર થનારા ટેસ્ટના આંકડા બતાવવા ભારતમાં ઓછી સંખ્યા પર સવાલ ઉઠાવવામાં આવ્યો છે.