- ૮ ડિસેમ્બરે જારી કરાયેલી સૂચના મુજબ, ચીન જતાં કે ત્યાંથી પસાર થતાં ભારતીયોએ વિશેષ સાવધ રહેવું.
- ૨૧ નવેમ્બરે શાંઘાઈમાં અરુણાચલની મહિલાના પાસપોર્ટને અમાન્ય ગણી કરાયેલી અટકાયત.
- ભારતીય મુસાફરોને પસંદગીયુક્ત રીતે (Selectively) નિશાન બનાવવાનું ચીન બંધ કરે.
- ચીન દ્વારા આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીના નિયમોનું ઉલ્લંઘન ન થવું જોઈએ.
- અરુણાચલના નાગરિકો સાથે ચીનના વારંવારના ભેદભાવ સામે ભારતે નોંધાવેલો સખત વિરોધ.
India travel advisory China: તાજેતરમાં શાંઘાઈ એરપોર્ટ પર અરુણાચલ પ્રદેશની એક મહિલા સાથે ચીની અધિકારીઓએ કરેલા ગેરવર્તન બાદ ભારત સરકારે કડક વલણ અપનાવ્યું છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રૂપે, ભારત સરકારે સોમવારે (8 ડિસેમ્બર) પોતાના નાગરિકોને ચેતવણી આપી છે. વિદેશ મંત્રાલયે ભારતીયોને ચીનની મુસાફરી કરતી વખતે અથવા ત્યાંથી ટ્રાન્ઝિટ (પસાર) થતી વખતે વિશેષ સાવધાની રાખવાની સલાહ આપી છે.
શાંઘાઈ એરપોર્ટની ઘટના બાદ સરકાર એક્શનમાં
નવી દિલ્હી ખાતેથી પ્રાપ્ત વિગતો મુજબ, લગભગ બે અઠવાડિયા પહેલા 21 નવેમ્બરના રોજ એક ચિંતાજનક ઘટના બની હતી. અરુણાચલ પ્રદેશની એક ભારતીય મહિલા જ્યારે ચીન થઈને મુસાફરી કરી રહી હતી, ત્યારે શાંઘાઈ એરપોર્ટ પર ચીની અધિકારીઓએ તેના ભારતીય પાસપોર્ટને માન્ય ગણવાનો ઇનકાર કરી દીધો હતો. એટલું જ નહીં, તેને ત્યાં અટકાયતમાં પણ લેવામાં આવી હતી. આ ઘટનાને ગંભીરતાથી લઈને નવી દિલ્હીએ હવે તમામ ભારતીય મુસાફરો માટે આ માર્ગદર્શિકા જાહેર કરી છે.
‘પસંદગીયુક્ત રીતે નિશાન બનાવવાનું બંધ કરે ચીન’
વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે મીડિયા સાથે વાત કરતા ચીનની આ હરકતની ટીકા કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "અમે ચીની સત્તાવાળાઓ પાસેથી એવી અપેક્ષા રાખીએ છીએ કે તેઓ ખાતરી આપે કે ભારતીય નાગરિકોને ચીની એરપોર્ટ પરથી પસાર થતી વખતે હેરાન કરવામાં નહીં આવે." તેમણે વધુમાં ઉમેર્યું હતું કે ભારતીયોને પસંદગીયુક્ત રીતે (Selectively) નિશાન બનાવવામાં ન આવે કે મનસ્વી રીતે અટકાયતમાં ન લેવામાં આવે. ચીને આંતરરાષ્ટ્રીય હવાઈ મુસાફરીના નિયમોનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ.
ભારતીય નાગરિકોને સાવચેતી રાખવા અપીલ
21 નવેમ્બરની ઘટના અંગે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં જયસ્વાલે જણાવ્યું હતું કે, પ્રવર્તમાન સ્થિતિને જોતા વિદેશ મંત્રાલય ભારતીય નાગરિકોને ચીનની મુસાફરી દરમિયાન યોગ્ય સાવચેતી રાખવાની સલાહ આપે છે. ચીન અવારનવાર અરુણાચલ પ્રદેશના ભારતીય નાગરિકોના વિઝા અને પાસપોર્ટ મુદ્દે અવળચંડાઈ કરતું આવ્યું છે, જેને લઈને ભારતે હંમેશા વિરોધ નોંધાવ્યો છે. હવે આ નવી એડવાઈઝરી મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બહાર પાડવામાં આવી છે.