Mansukh Mandaviya in Rajya Sabha: કોરોના વાયરસના નવા વેરિઅન્ય ઓમિક્રોન (Omicron) ના મુદ્દા પર આજે રાજ્યસભામાં (Rajya Sabha) ચર્ચા થઈ હતી. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા  (Mansukh Mandaviya) એ સદનમાં જણાવ્યું કે કેંદ્ર સરકારે આ નવા ખતરા સામે લડવા માટે અત્યાર સુધીમાં કઈ કઈ તૈયારીઓ કરી છે. આ દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જાણકારી આપી કે અત્યાર સુધીમાં દેશમાં 161  (Omicron Cases in India)  કેસ સામે આવ્યા છે.  હાલમાં વિદેશથી આવતા મુસાફરો અને દેશમાં વધી રહેલા ઓમિક્રોનના કેસ પર સતત નજર રાખી રહ્યા  છીએ. 


રાજ્યસભામાં એક તરફ વિપક્ષ 12 સાંસદોને સસ્પેન્ડ કરવાના મુદ્દે અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રા ટેનીની બરતરફી અને સ્પીકરની માંગને લઈને હંગામો મચાવી રહ્યો હતો, તો બીજી તરફ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના નવા પ્રકાર ઓમિક્રોન અંગે ગૃહમાં માહિતી આપી રહ્યા હતા. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં જણાવ્યું કે, દેશ કોરોનાના નવા સ્વરૂપો સામે લડવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. આ દરમિયાન મનસુખ માંડવિયાએ પણ ગૃહમાં દેશમાં ઝડપથી આપવામાં આવી રહેલી કોરોના રસીનો ઉલ્લેખ કર્યો હતો. મનસુખ માંડવિયાએ કહ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 137 કરોડથી વધુ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે.


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ વેન્ટિલેટરને લઈને આવી રહેલી ફરિયાદો પર નિવેદન આપતા કહ્યુ કે, અમે રાજ્યને વેન્ટિલેટર આપી રહ્યાં છીએ, પરંતુ ઘણી જગ્યાએથી ફરિયાદ આવી છે કે તે યોગ્ય કામ કરી રહ્યાં નથી, જેથી અમે રાજ્યોને લેખિતમાં લખ્યું છે કે તેમને ઉપલબ્ધ કરાવેલા વેન્ટિલેટરનું શું સ્ટેટસ છે. માંડવિયાએ કહ્યુ કે, અત્યાર સુધી તેમની પાસે દેશભરમાં 48,000 વેન્ટિલેટર પર પૂરી જાણકારી છે અને તે સારી રીતે કામ કરી રહ્યાં છે. આશા છે કે ત્યારબાદ હવે લોકોને રાજનીતિ કરવાની તક નહીં મળે.


આ દરમિયાન કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે કોરોનાની બીજી લહેર દરમિયાન ઓક્સિજનની સમસ્યાને ધ્યાનમાં રાખીને ઓક્સિજનનો બફર સ્ટોક પણ બનાવવામાં આવ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે પીએમ મોદીના નેતૃત્વમાં આરોગ્ય કર્મચારીઓના પ્રયાસોને કારણે 88% લોકોને રસીનો એક જ ડોઝ મળ્યો છે. તે જ સમયે, પુખ્ત વસ્તીના 58% લોકોને પણ રસીના બંને ડોઝ મળ્યા છે. રાજ્યસભામાં માહિતી આપતા કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે જ્યાં વધુ કેસ છે તેવા દેશોની ઓળખ કરીને વધારાની કાળજી લેવામાં આવી રહી છે.