નવી દિલ્હી: ભારતમાં કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને સાડા ત્રણ લાખને પાર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 10 હજાર 974 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે રેકોર્ડ 2003 લોકોના મોત થયા છે, જે એક દિવસમાં નોંધાયેલા સૌથી વધુ મોત છે.


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર દેશમાં અત્યાર સુધી 3, 54,065 લોકો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ચૂક્યા છે. જેમાંથી 11903 લોકોના મોત થયા છે. જ્યારે1,86,934 લોકોએ કોરોનાને મ્હાત આપી છે.

દેશમાં એક દિવસમાં 2000ના મોતનો મોટો આંકડો એટલા માટે આવ્યો છે કે, મંગળવારે મહારાષ્ટ્રએ રાજ્યના મોતના આંકાડમાં 1400 જેટલા ઉમેર્યા હતા.

પહેલીવાર દેશમાં એક દિવસમાં સૌથી વધુ મોત ભારતમાં નોંધાયા છે. જ્યારે સંક્રમિતોની સંખ્યા પ્રમાણે ભારત દુનિયાનો ચોથો સૌથી વધુ કોરોના પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝીલ, રશિયા બાદ કોરોના મહામારીથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાં ભારત ચોથા નંબરે આવી ગયું છે. ભારતથી વધું અમેરિકા (2,208,389), બ્રાઝીલ (928,834), રશિયા (545,458)માં છે.
એક્ટિવ કેસ મામલે ટૉપ-5 રાજ્ય

આંકડા અનુસાર, દેશમાં હાલ 1 લાખ 55 હજાર કોરોનાના એક્ટિવ કેસ છે. સૌથી વધુ એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે , મહારાષ્ટ્રમાં 50 હજારથી વધુ સંક્રમિત દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. તેના બાદ દિલ્હી (26351), ત્રીજા નંબરે તમિલનાડુ (20709), ચૌથા નંબરે ગુજરાત(5962) અને પાંચમાં નંબરે પશ્ચિમ બંગાળ(5386) છે. આ પાંચ રાજ્યમાં સૌથી વખુ એક્ટિવ કેસ છે.