નવી દિલ્હીઃ ભારત-ચીન તણાવને લઈને પીએમ મોદીએ 19 જૂને સાંજે 5 કલાકે સર્વપક્ષીય બેઠક બોલાવી છે. આ બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા થશે. પીએમ તમામ પાર્ટના પ્રતિનિધિઓ સાથે આ સ્થિતિ પર ચર્ચા કરશે. જુદા જુદા રાજનીતિક પક્ષોના અધ્યક્ષ આ વર્ચ્યુઅલ બેઠકમાં ભાગ લેશે. જણાવીએ કે, ભારત-ચીનની વચ્ચે સૈન્ય સ્તર પર વાતચીત અટકાવી દેવામાં આવી છે. સેનાને એલર્ટ પર રાખવામાં આવી છે. કહેવાય છે કે, ભારતે 3500 કિલોમીટરની સરહદ પર ચીનના આક્રમક વલણનો સામનો કરવા માટે દ્રઢ સંકલ્પ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.


નોંધનીય છે કે, 15-16 જૂન દરમિયાનની રાત્રે ગલવાન ઘાટીમાં થયેલા હિંસક ઘર્ષણમાં ભારતના કમાન્ડિંગ અધિકારી સહિત 20 જવાન શહીદ થયા હતા. 4 જવાનોની હાલત ગંભીર છે. પથ્થરો, લાઠીઓ અને ધારદાર ચીજોથી હુમલો કરવામાં આવ્યો. આ જ ગલવાનમાં 1962ના યુદ્ધમાં 33 ભારતીય જવાન શહીદ થયા હતા.

આવા હિંસક ઘર્ષણ આધુનિક સેનાઓના હાલના ઈતિહાસમાં ખૂબ ઓછા થયા છે. ચીની સેનાના આ હિંસક હુમલામાં અત્યાર સુધી 20 ભારતીય સૈનિકોએ જીવ ગુમાવ્યા છે. તેમાં 16 બિહાર રેજિમેન્ટના કમાન્ડિંગ અધિકારી કર્નલ સંતોષ બાબુ પણ સામેલ છે. માનવામાં આવી રહ્યું છે કે અનેક ઘાયલ સૈનિકોના મોત શૂન્યથી ઓછા તાપમાનમાં સતત રહેવાના કારણે થયા છે.