ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 20,038 નવા કેસ નોંધાયા છે, 16,994 દર્દીઓ સ્વસ્થ થયા છે અને 47 લોકોના મોત થયા છે. કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1,39,073 પર પહોંચી ગયો છે જ્યારે પોઝિટીવીટી રેટ 4.44% પહોંચ્યો છે. 






શુક્રવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 20,038 નવા કેસ નોંધાયા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે અને હવે આ સંખ્યા વધીને 1.39 લાખથી વધુ થઈ ગઈ છે. દેશમાં લગભગ 145 દિવસ બાદ ગઈકાલે રોજના 20 હજારથી વધુ કેસ નોંધાયા બાદ શુક્રવારે 20 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે.


મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતમાં એક દિવસમાં કોરોનાના 20,038 નવા કેસ નોંધાયા બાદ દેશમાં કોરોના સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 4,37,10,027 થઈ ગઈ છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં સંક્રમણના કારણે વધુ 47 લોકોના મોત બાદ મૃતકોની સંખ્યા વધીને 5,25,604 થઈ ગઈ છે. મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે અગાઉ ગુરુવારે દેશમાં એક જ દિવસમાં કોરોના સંક્રમણના 20,139 નવા કેસ નોંધાયા હતા.


બીજી તરફ દેશમાં આજથી એટલે કે 15મી જૂલાઈથી કોરોના (COVID 19) નો બૂસ્ટર ડોઝ મફતમાં આપવામા આવશે. પહેલા બૂસ્ટર ડોઝ માટે પૈસા ખર્ચવા પડતા હતા, પરંતુ આઝાદીના અમૃત પર્વના અવસર પર મોદી સરકારે આગામી 75 દિવસ સુધી મફતમાં કોરોનાનો બુસ્ટર ડોઝ આપવાની જાહેરાત કરી હતી. થોડા દિવસો પહેલા પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. આ પછી પીએમ મોદીએ પોતે ટ્વીટ કરીને કહ્યું હતું કે રસી એ કોરોના સામેની લડાઈ છે. આ નિર્ણયથી ભારતની રસીકરણ અભિયાનને આગળ વધારવા માટે મદદ કરશે.