India-Saudi Arabia:  G-20 સમિટના સફળ આયોજન બાદ હવે તમામની નજર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વચ્ચે સોમવારે થનારી દ્વિપક્ષીય મંત્રણા પર છે. આ સંવાદમાં બંને દેશો વેપારની સાથે વ્યૂહાત્મક ભાગીદારીને આગળ વધારવાની દિશામાં નક્કર નિર્ણયો કરશે.  પશ્ચિમ એશિયાથી પર્સિયન ગલ્ફ સુધી સાઉદીનો વ્યાપક પ્રભાવ હોવાથી બંને દેશોની નિકટતા પાકિસ્તાનની સાથે ચીનની ચિંતામાં વધારો કરશે.


ઉલ્લેખનીય છે કે સમિટમાં ભાગ લેવા આવેલા વિવિધ દેશોના સરકારના વડાઓ રવિવારે સ્વદેશ પરત ફર્યા હતા. જો કે, આ દ્ધિપક્ષીય વાટાઘાટો માટે કોન્ફરન્સમાં હાજરી આપવા આવેલા ક્રાઉન પ્રિન્સનો ભારત પ્રવાસ સોમવાર સુધી ચાલુ રહેશે. યજમાન તરીકે ભારતે સાઉદી અરેબિયાને વિશેષ અતિથિ તરીકે આમંત્રણ આપ્યું હતું.


ભારતની નજર વ્યૂહાત્મક ડીલ, રાજદ્વારી પ્રગતિ અને રોકાણ પર છે


સાઉદી અરેબિયા શસ્ત્રો અને સુરક્ષા માટે અમેરિકા પર નિર્ભર છે. તાજેતરમાં ચીન તરફ તેની રુચિ વધી ગઈ હતી. સાઉદી આ મામલે ચીન અને અમેરિકા પર તેની નિર્ભરતા ઘટાડવા માંગે છે. ભારત આ સ્થિતિનો ફાયદો ઉઠાવવાની યોજના ધરાવે છે. આ સિવાય ભારતની નજર રોકાણ પર પણ છે. તાજેતરના સમયમાં બંને દેશો વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસો થયા છે. બંને દેશોના સેના પ્રમુખો એકબીજાની મુલાકાત લઈ ચૂક્યા છે. સાઉદીમાં ભારતના લગભગ 15 લાખ લોકો રહેતા હોવાથી બંને દેશો વચ્ચે ખાસ સંબંધ બંધાયા છે.


ચીન અને પાકિસ્તાન માટે ચિંતાનો વિષય કેમ છે?


વાસ્તવમાં પાકિસ્તાન ઇસ્લામિક દેશના નામે લાંબા સમયથી સાઉદી અરેબિયા સાથે ગાઢ સંબંધો જાળવી રહ્યું છે, જ્યારે ચીને તાજેતરમાં જ તેને તેના મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ BRI સાથે જોડ્યું હતું. દરમિયાન સાઉદી અરેબિયાએ આ પ્રોજેક્ટનો જવાબ આપવા માટે IMEC પ્રોજેક્ટ માટે સહમતિ દર્શાવી હતી. સાઉદી અરેબિયા નવા વૈશ્વિક સંજોગોમાં પોતાની વ્યૂહાત્મક અને રાજદ્વારી તાકાત વધારવા માંગે છે.


ઈઝરાયેલ-આરબને નજીક લાવવાના પ્રયાસો કરવામાં આવશે


સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજદ્વારી લડાઈ મધ્ય પૂર્વમાં વર્ચસ્વ માટે છે. સાઉદી અરેબિયા અને ઈઝરાયેલ વચ્ચેની દુશ્મની ઘણી જૂની છે. જો આ બંને દેશો વચ્ચેના સંબંધો સુધરશે તો આ ક્ષેત્રની સ્થિતિમાં મોટો બદલાવ આવશે. ભારત હાલમાં સાઉદી અરેબિયાની સાથે ઈઝરાયેલની નજીક હોવાથી ભવિષ્યમાં અમારી યોજના બંને દેશોને નજીક લાવવાની છે.


વ્યૂહાત્મક સહકાર પરિષદની બેઠક પણ મહત્વપૂર્ણ છે


પીએમ મોદીની મુલાકાત દરમિયાન દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે બંને દેશોએ સ્ટ્રેટેજિક કોઓપરેશન કાઉન્સિલની રચના કરી હતી. દ્વિપક્ષીય વાતચીતની સાથે સોમવારે કાઉન્સિલની બેઠક પણ યોજાશે. જેમાં રાજકીય, સુરક્ષા, સાંસ્કૃતિક સહયોગ, રોકાણ પર વાતચીત થશે અને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવશે.