SCO સમિટમાં પાકિસ્તાનના PM ઈમરાન ખાનને પણ આમંત્રણ આપશે ભારત
abpasmita.in | 16 Jan 2020 08:28 PM (IST)
સર્જીકલ સ્ટ્રાઈક અને જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે.
નવી દિલ્હી: ભારતમાં આ વર્ષે યોજાનાર શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) સમિટમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. વિદેશ મંત્રાલયે ગુરવારે આ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે સર્જીકલ સ્ટ્રાઈક અને જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવ્યા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવભરી સ્થિતિ છે. ઈમરાન ખાનને આમંત્રણ આપવાના સવાલ પર વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવીશ કુમારે કહ્યું છે કે SCOમાં તમામ આઠ દેશો અને ચાર ઓબ્ઝર્વરને અને અન્ય આંતરરાષ્ટ્રીય સહયોગીઓને આમંત્રણ આપવામાં આવશે. રવિશ કુમારે જણાવ્યું કે, ભારત આ વર્ષ યોજાનારી SCO સમીટની યજમાની કરશે. આ બેઠક પ્રધાનમંત્રી સ્તર પર દર વર્ષે આયોજીત કરવામાં આવે છે. જેમાં વિવિધ મુદ્દે SCOના પ્રોગ્રામ પર ચર્ચા કરવામાં આવે છે. અને બહુપક્ષીય આર્થિક અને વ્યાપારના મુદ્દા પર ચર્ચા કરવામાં આવે છે. ભારતમાં યોજાનારી આ પ્રથમ આઠ સભ્યની ઉચ્ચસ્તરીય બેઠક છે. ભારત અને પાકિસ્તાન સિવાય ચીન, રશિયા, તાજીકિસ્તાન, કઝાકિસ્તાન અને ઉઝબેકિસ્તાનનો SCOમાં સમાવેશ થાય છે.