Indian Navy: જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં 22 એપ્રિલના રોજ પ્રવાસીઓ પર થયેલા હુમલા પછી તરત જ નૌકાદળે અરબી સમુદ્રમાં પાકિસ્તાન પર સતત દબાણ જાળવી રાખ્યું હતુ તેની તાકાત અને વ્યૂહાત્મક ક્ષમતાનું પ્રદર્શન કર્યું હતું. નૌકાદળના પ્રવક્તાએ રવિવારે એક્સ પર પોસ્ટ કરી અને કહ્યું કે નૌકાદળે પાડોશી દેશને યુદ્ધવિરામ માટે મજબૂર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે પહલગામ હુમલા બાદ ભારતીય નૌકાદળના કેરિયર બેટલ ગ્રુપ, સરફેસ ફોર્સિસ, સબમરીન અને ઉડ્ડયન સંપત્તિઓને ભારતીય સંરક્ષણ દળોના સંયુક્ત ઓપરેશનલ પ્લાન અનુસાર સંપૂર્ણ યુદ્ધ તૈયારીમાં તરત જ સમુદ્રમાં તૈનાત કરવામાં આવી હતી. આતંકવાદી હુમલાના 96 કલાકની અંદર ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં અનેક હથિયારોથી ફાયરિંગ દરમિયાન સમુદ્રમાં રણનીતિ અને પ્રક્રિયાઓનું પરીક્ષણ અને સુધારણા કરી શકાય અને ક્રૂ, ઓર્ડનન્સ, સાધનો અને પ્લેટફોર્મની તૈયારીને અંતિમ ઓપ આપી શકાય. જેથી પસંદગીના લક્ષ્યો પર ચોકસાઈ સાથે પહોંચી શકાય.
'સરકારના આદેશની રાહ જોઈ રહ્યા હતા'
ઓપરેશન સિંદૂર અંગે પ્રેસ બ્રીફિંગમાં નૌકાદળના ડાયરેક્ટર જનરલ ઓફ નેવલ ઓપરેશન્સ (DGNO) વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદે કહ્યું કે નૌકાદળ 9 મેની રાત્રે પાકિસ્તાનની દરિયાઈ સરહદમાં પ્રવેશ કરવા અને તેમના લશ્કરી ઠેકાણાઓ અને કરાચી બંદર જેવા મુખ્ય ઠેકાણાઓનો નાશ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતું. તેમણે કહ્યું કે નૌકાદળ ફક્ત સરકારના આદેશોની રાહ જોઈ રહ્યું હતું.
તેમણે કહ્યું કે નૌકાદળ ઉત્તર અરબી સમુદ્રમાં આગળ તૈનાત રહ્યું છે અને દરિયા અને જમીન પર પસંદગીના લક્ષ્યોને પ્રહાર કરવા માટે સંપૂર્ણ તૈયારી અને ક્ષમતા સાથે પ્રતિરોધક સ્થિતિમાં છે, જેના કારણે પાકિસ્તાની નૌકાદળ અને હવાઈ એકમોને બંદરોની અંદર અથવા તેમના દરિયાકાંઠાની ખૂબ નજીક રક્ષણાત્મક સ્થિતિમાં રહેવાની ફરજ પડી છે. તણાવ નિયંત્રણ પદ્ધતિના ભાગ રૂપે નૌકાદળ દ્વારા બળનો ઉપયોગ સેના અને વાયુસેના સાથે સંકલનમાં આયોજન કરવામાં આવ્યું હતું.
નૌકાદળના પ્રવક્તાએ જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળની સમુદ્રમાં પ્રચંડ ઓપરેશનલ ક્ષમતા સાથે સેના અને વાયુસેનાની ગતિશીલ કાર્યવાહીએ ગઈકાલે (શનિવારે) પાકિસ્તાનને તાત્કાલિક યુદ્ધવિરામની વિનંતી કરવા મજબૂર કર્યું હતું.