નવી દિલ્હીઃ કોરોના વાયરસના ચેપ ફેલાવવાના અંદાજને લઈને ચાઈનીઝ નિષ્ણાંતો તરફતી બનાવવામાં આવેલ એક મોડલ અનુસાર આ મહિનાના મધ્ય સુધીમાં ભારતમાં એક દિવસમાં દરરોજ 15 હજારથી વધારે કેસ આવશે. ઉત્તર પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં આવેલ લાંઝાઉ યૂનિવર્સિટી ‘ગ્લોબલ કોવિડ-19 પ્રેડિક્ટ સિસ્ટમ’ અંતર્ગત 180 દેશો માટે દરરોજના અંદાજ બહાર પાડવામાં આવ્યા છે.


હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ અનુસાર નિષ્ણાંતોના આ ગ્રુપે ભારત માટે 2 જૂન માટે 9291 કેસોનો અંદાજ લગાવ્યો હતો, જે હકીકતની ખૂબ જ નજીક છે. ભારતમાં બુધવારે અત્યાર સુધીના સૌથી વધારે 8909 કેસ સામે આવ્યા છે. આ મોડલ અનુસાર આગામી ચાર દિવસો માટે ભારતમાં ક્રમશઃ 9676, 10, 078, 10,498 અને 10936  કેસોનો અંદાજ લગાવવામાં આવ્યો છે.

આ પ્રોજેક્ટ સાથે જોડાયેલ નિષ્ણાંત હુઆંગ જિયાનપિંગે હિન્દુસ્તાન ટાઇમ્સને જણાવ્યું કે, “28 મેના રોજ ભારતમાં 7467 કેસ સામે આવ્યા હતા અને અમે 7607 કેસનો અંદાજ લગાવ્યો હતો.” તેમણે કહ્યું કે, 15 જૂન સુધી ભારતમાં દરરોજ 15 હજારથી વધારે કેસ સામે આવશે. ભારતમાં કોરોના કેસ 2 લાખને પાર થઈ ગયા છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે, અમેરિકામાં જૂન મહિનામાં દરરોજ 30 હજારથી વધારે કેસ સામે આવ્યા અને યૂરોપીય દેશોમાં હવે સંક્રમણમાં સતત ઘટાડો જોવા મળશે.

છેલ્લા સપ્તાહ ઓનલાઈન જાહેર કરવામાં આવેલ અંદાજને તૈયાર કરતાં હવામાન, પર્યાવરણ, જનસંખ્યા ઘનત્વ અને નિયંત્રણકારી ઉપાયોને આધાર બનાવવામાં આવ્યા છે. હુઆંગે કહ્યું કે, કોરોના વાયરસ ચેપના પ્રસાર પાછળ અનેક ફેક્ટર છે જેમાં જનસંખ્યા ઘનત્વ, કોરેન્ટાઈન ઉપાય અને પર્યાવરણ જેવા કારક છે.