Indigo Flight Diverted: કન્નુરથી દોહા જતી ઈન્ડિગોની ફ્લાઈટને શુક્રવારે (2 ડિસેમ્બર) મુંબઈ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. એક જ દિવસમાં ટેક્નિકલ ખામીનો આ ત્રીજો કિસ્સો છે. આ પહેલા સ્પાઈસ જેટ અને કતાર એરવેઝની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીની ઘટના શુક્રવારે પણ જોવા મળી હતી. ટેક્નિકલ ખામીને કારણે ઈન્ડિગો ફ્લાઈટને મુંબઈમાં અધવચ્ચે લેન્ડ કરવામાં આવી હતી. એરલાઈને કહ્યું કે, સાવચેતીના ભાગરૂપે ફ્લાઈટ નંબર 6E-1715ને મુંબઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી.


એરક્રાફ્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "ઓપરેટિંગ ક્રૂએ ફ્લાઇટમાં ટેકનિકલ સમસ્યા ધ્યાનમાં લીધી હતી, જેના પછી ફ્લાઈટને મુંબઈ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. મુસાફરોની આગળની મુસાફરી માટે વૈકલ્પિક ફ્લાઈટ્સની વ્યવસ્થા કરવામાં આવી રહી છે." DGCAના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, હાઇડ્રોલિક લીકને કારણે એરક્રાફ્ટને ડાયવર્ટ કરવામાં આવ્યું હતું.


સ્પાઈસ જેટ ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ


આ પહેલા શુક્રવારે જ સ્પાઈસ જેટની ફ્લાઈટમાં ટેક્નિકલ ખામીની ઘટના પણ સામે આવી હતી, જેના કારણે ફ્લાઈટનું કોચી એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. આ વિમાનમાં 197 મુસાફરો હતા. આ ફ્લાઈટ સાઉદી અરેબિયાના જેદ્દાહથી કોઝિકોડ જઈ રહી હતી. ફ્લાઇટની હાઇડ્રોલિક નિષ્ફળતાને કારણે, તેને કોચી એરપોર્ટ તરફ વાળવામાં આવી હતી. જોકે, વિમાનનું સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.



કતાર એરવેઝનું પ્લેન પણ રનવે પરથી પરત ફર્યું હતું


આ સાથે, 139 મુસાફરોને લઈને ચેન્નાઈથી દોહા જઈ રહેલી કતાર એરવેઝની ફ્લાઈટમાં શુક્રવારે વહેલી સવારે ટેક-ઓફની તૈયારી દરમિયાન ટેક્નિકલ ખામી સર્જાઈ હતી, ત્યારબાદ વિમાન રનવે પરથી પાછું ફર્યું હતું. એરપોર્ટ અધિકારીના જણાવ્યા અનુસાર કતાર એરવેઝનું પ્લેન રનવે પર ઉડવાની તૈયારી કરી રહ્યું હતું ત્યારે સમસ્યાની જાણ થઈ અને પાઈલટોએ પરત ફરવાની પરવાનગી માંગી. 139 મુસાફરોને વિમાનમાંથી ઉતારવામાં આવ્યા હતા અને શહેરની હોટલોમાં તેમના રોકાણની વ્યવસ્થા કરવામાં આવી હતી. 


આવા કિસ્સાઓ સતત સામે આવી રહ્યા છે


છેલ્લા કેટલાક સમયથી હવાઈ મુસાફરી દરમિયાન અનેક વખત ગરબડના અહેવાલો આવ્યા છે. સ્પાઈસ જેટ, વિસ્તારા, ઈન્ડિગો અને ગો એર એવી ફ્લાઈટ્સ છે જેમાં લોકો વારંવાર મુસાફરી કરે છે. આ ફ્લાઈટ્સમાંથી આવા કિસ્સાઓ સતત બહાર આવી રહ્યા છે. આ ભૂલોને કારણે કાં તો ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવે છે અથવા તો ફ્લાઇટને રોકી દેવામાં આવે છે. તે ખૂબ જ મહત્વપૂર્ણ છે કે આવા કેસોની સમયસર સંપૂર્ણ તપાસ થવી જોઈએ.