નવી દિલ્હી: આઈએનએક્સ મીડિયા મની લૉન્ડ્રિંગ કેસમાં જેલમાં બંધ પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની જામીન અરજી પર સુપ્રીમ કોર્ટ આવતીકાલે પોતાનો ફેસલો સંભળાવશે. પી ચિદમ્બરમે તેમની જામીન અરજીને ફગાવવાના દિલ્હી હાઈકોર્ટે 15 નવેમ્બરના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. જસ્ટિસ આર ભાનુમતિની અધ્યક્ષતાવાળી બેન્ચે 28 નવેમ્બરે ચિદમ્બરમ દ્વારા કરવામાં આવેલી જામીન અરજી પરનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો.


ચિદમ્બરમની જામીન અરજી પર સુનાવણી દરમિયાન ઈડી તરફથી સૉલીસિટર જનરલ તુષાર મહેતાએ દાવો કર્યો હતો કે પૂર્વ નાણામંત્રી કસ્ટડીમાં હોવા છતાં પણ મહત્વપૂર્ણ સાક્ષીઓ પર પોતાનો પ્રભાવ રાખે છે. જ્યારે ચિદમ્બરમનું કહેવું હતું કે તપાસ એજન્સી આ રીતે નિરાધાર આરોપ લગાવીને પોતાની પ્રતિષ્ઠા અને કેરિયર બર્બાદ કરી શકે નહીં..

ચિદમ્બરમની જામીન અરજીનો વિરોધ કરતા મહેતાએ કહ્યું હતું કે મની લોન્ડરિંગ જેવા ગુનો ગંભીર પ્રકારનો છે અને આ માત્ર દેશની અર્થવ્યવસ્થાને જ પ્રભાવિત નથી કરતો પરંતુ વ્યવસ્થા પ્રતિ જનતાનો વિશ્વાસને ડગમગાવે છે.

INX મીડિયા કેસ સાથે જોડાયેલ મની લોન્ડ્રિંગ મામલામાં 21 ઓગસ્ટે દિલ્હી સ્થિત પોતાના ઘરેથી CBIએ પી ચિદમ્બરમની ધરપકડ કરી લીધી હતી. જે બાદથી ચિદમ્બરમ જેલમાં જ બંધ છે. 2007માં પી ચિદમ્બરમ નાણામંત્રી હતા ત્યારે INX મીડિયા ગ્રુપને 305 કરોડ રૂપિયાનું વિદેશી ફંડ હાંસલ કરવા માટે વિદેશ રોકાણ સંવર્ધન બોર્ડની મંજૂરીમાં અનિયમિતતા વરતવાનો આરોપ છે. આ મામલામાં તેમના દીકરા કાર્તિ ચિદમ્બરમ પણ આરોપી છે જેઓ હાલ જામીન પર છે.