મુંબઇઃ મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયાના બે દિવસ બાદ જ અજિત પવાર વિરુદ્ધ સિંચાઇ કૌભાંડ કેસને બંધ કરી દેવામાં આવ્યા છે. અજિત પવારે શનિવારે સવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. આ ઘટનાક્રમ પર શિવસેનાએ કહ્યુ કે, આનાથી સાબિત થાય છે કે એકબીજાને ફાયદો પહોંચાડવા માટેનો પ્રયાસ કરવામાં આવ્યો છે. અજિત પવાર વિરુદ્ધ સિંચાઇ કૌભાંડ મામલાને બંધ કરી દેવાને શિવસેના મુદ્દો બનાવશે. વિધાનસભા ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ અધ્યક્ષ અમિત શાહે પણ સિંચાઇ કૌભાંડ મામલામાં અજિત પવાર પર સવાલ ઉઠાવ્યો હતો.


ભાજપના નેતા શાઇના એનસીએ કહ્યું કે, આ મામલો કોર્ટમાં છે અને પુરાવાઓ સાબિત કરશે કે કોઇ વ્યક્તિ દોષિત છે કે નહીં. તેમણે કહ્યું કે, મને નથી લાગતું કે આ મામલાને વર્તમાન સરકાર સાથે જોડવાની જરૂર હોય. ભાજપ અહીં  સ્થિર સરકાર આપવા માટે છે.

એસીબીના ડીજીએ કહ્યું કે, સિંચાઇ કૌભાંડમાં નવ કેસોમાં અજિત પવારની કોઇ ભૂમિકા નથી. આ કેસને બંધ કરવા માટે ત્રણ મહિના અગાઉ ભલામણ કરવામાં આવી હતી. સિંચાઇ કૌભાંડ સાથે જોડાયેલા કેસમાં લગભગ 3000 ટેન્ડરોની  તપાસ કરવામાં આવી રહી છે જેમાંથી નવ મામલામાં  અજિત પવાર વિરુદ્ધ કોઇ પુરાવા મળ્યા નથી.  નોંધનીય છે કે મહારાષ્ટ્રમાં આશ્વર્યજનક રીતે શનિવારે સવારે દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રી અને અજિત પવારે નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા.


બીજી તરફ એસીબીએ સ્પષ્ટતા કરી હતી કે જે કેસને બંધ કરવામાં આવ્યા છે તે અજિત પવાર સાથે જોડાયેલા નથી. મહારાષ્ટ્ર એસીબીએ સોમવારે કહ્યું કે, એ નવ કેસને બંધ કરી દીધા છે આ મામલાઓ અજિત પવાર સાથે જોડાયેલા નથી.