શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં કુપવાડાના માછિલ સેક્ટરમાં પાકિસ્તાને ફરી સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું. જેમાં એક જવાન શહીદ થઈ ગયો હતો. જ્યારે શોપિયાંમાં સેનાએ બે આતંકીઓને ઠાર માર્યા હોવાના અહેવાલ છે. પાકિસ્તાને રેન્જર્સે આજે સવારે અચાનક નિયંત્રણ રેખા પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પાકિસ્તાનની નાપાક હરકતમાં સેનાનો એક જવાન ઘાયલ થયો હતો. જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેમનું મોત નીપજ્યું હતું.


જ્યારે શોપિયાંમાં પણ સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે શનિવારે સવારે અથડામણ થઈ હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે દક્ષિણ કાશ્મીરના બોનબજાર વિસ્તારમાં આતંકીઓ હોવાની ગુપ્ત જાણકારી મળ્યા બાદ સુરક્ષા દળોએ આ વિસ્તારનો ઘેરાવ કર્યો હતો અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. તે દરમિયાન આતંકીઓએ સેનાના જવાનો પર ફાયરિંગ શરુ કરી દીધી હતી. જેના પર સેનાએ પલટવાર કરતા બે આતંકીઓને ઠાર માર્યાના અહેવાલ છે.