Jharkhand: ચંપઈ સોરેન આજે ઝારખંડના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને જેએમએમ ધારાસભ્ય દળના નેતા ચંપઈ સોરેનને સરકાર બનાવવા માટે આમંત્રણ આપ્યું છે. ધારાસભ્ય આલમગીર આલમે કહ્યું કે આગામી 10 દિવસમાં અમારે ગૃહમાં બહુમતી સાબિત કરવી પડશે. નોંધનીય છે કે ચંપઇ સોરેને દાવો કર્યો છે કે તેમની પાસે 43 ધારાસભ્યોનું સમર્થન છે. તેમણે રાજ્યપાલને તમામ ધારાસભ્યોના સમર્થનનો વીડિયો પણ બતાવ્યો છે.






રાજ્યપાલ સાથે કરી મુલાકાત


ચંપઈ સોરેન એક દિવસ પહેલા રાજ્યપાલને પણ મળ્યા હતા. આ દરમિયાન તેમણે સરકાર બનાવવાનો દાવો કર્યો હતો. જોકે તે સમયે રાજ્યપાલે તેમને આમંત્રણ આપ્યું ન હતું. રાજ્યપાલે કહ્યું હતું કે આ પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. ચંપઈએ બેઠક બાદ મીડિયાને કહ્યું હતું કે અમે રાજ્યપાલ પાસે માંગ કરી છે કે નવી સરકારની રચનાની પ્રક્રિયા શરૂ થવી જોઈએ. રાજ્યપાલે અમને ખાતરી આપી છે કે પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે. હાલમાં અમે રિપોર્ટ સુપરત કર્યો છે. અમને સરકાર બનાવવામાં કોઈ મુશ્કેલી નથી. અમારું 'ગઠબંધન' ખૂબ જ મજબૂત છે.


અહેવાલો અનુસાર સીએમ હેમંત સોરેનના રાજીનામા બાદ ધારાસભ્યોને અલગ કરવાના પ્રયાસો થઈ શકે છે. ઝારખંડમાંથી ધારાસભ્યોને ભાજપની લાલચથી બચાવવા માટે તેમને બહાર મોકલવાની તૈયારી ચાલી રહી હોવાના અહેવાલ છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, સૂત્રોએ જણાવ્યું છે કે ભાજપની નજર ઝારખંડ મુક્તિ મોરચા (જેએમએમ)ના ધારાસભ્યો તેમજ ગઠબંધનમાં સામેલ કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળ (આરજેડી)ના ધારાસભ્યો પર છે. ગઠબંધનમાં સામેલ ધારાસભ્યોને બચાવવા માટે તેમને ઝારખંડની બહાર કોઈ સુરક્ષિત જગ્યાએ મોકલવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.


ગુરુવારે સાંજે ન્યૂઝ એજન્સી ANIના રિપોર્ટ અનુસાર, ધારાસભ્યોને સર્કિટ હાઉસમાંથી શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. જેએમએમ ધારાસભ્ય દળના નેતા ચંપઈ સોરેન દાવો કર્યો હતો કે તેમની પાસે 43 ધારાસભ્યોનું સમર્થન છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ધારાસભ્યો માટે એરપોર્ટ પર બે ચાર્ટર્ડ પ્લેન તૈયાર કરાયા હતા. રાત્રે લગભગ 9.40 વાગ્યે આવેલા સમાચાર મુજબ ખરાબ હવામાનને કારણે ફ્લાઈટ કેન્સલ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેએમએમના નેતૃત્વવાળા ગઠબંધનમાં સામેલ ધારાસભ્યો એરપોર્ટથી સર્કિટ હાઉસ પરત ફર્યાના સમાચાર પણ સામે આવ્યા છે. સમાચાર અનુસાર, ખરાબ હવામાન અને ગાઢ ધુમ્મસ વચ્ચે ઓછી વિઝિબિલિટીના કારણે ફ્લાઈટ્સ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.