રાંચી: ઝારખંડ વિકાસ મોર્ચાના પ્રમુખ બાબુલાલ મરાંડીની ભાજપામાં વાપસી હવે લગભગ નક્કી જ માનવામાં આવી રહ્યું છે અને તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાઈ શકે છે.
ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની કારમી હાર થઈ હતી. મુખ્યમંત્રીથી લઈને અન્ય દિગ્ગજ નેતાઓએ જેએમએમ-કૉંગ્રેસ આરજેડી ગઠબંધન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ત્યારે હવે ભાજપ રાજ્યના પહેલા મુખ્યમંત્રી રહી ચુકેલા બાબુલાલ મરાંડીને ઘર વાપસી કરાવવાના મૂડમાં છે.


સૂત્રો અનુસાર, ઝારખંડ વિકાસ મોર્ચાના પ્રમુખ બાબુલાલ મરાંડી સતત ભાજપના વરિષ્ઠ નેતાઓના સંપર્કમાં છે. ઉલ્લેખનીય છે કે 5 જાન્યુઆરીએ પાર્ટીના પ્રમુખ મરાંડીએ જેવીએમ કાર્યસમિતિ ભંગ કરી દીધી હતી. સૂત્રોનું કહેવું છે કે મરાંડી હાલામાં રાંચીમાં નથી. તેઓ 15 જાન્યુઆરીએ રાંચી આવશે ત્યાર બાદ દિલ્હીમાં ભાજપના વરિષ્ઠ નેતાઓની હાજરીમાં ભાજપની સદસ્યતા લઈ શકે છે. ઝારખંડમા જેવીએમના ત્રણ ધારાસભ્ય છે.
સૂત્રો અનુસાર, પક્ષમાં તેમને મોટી જવાબદારી સોંપવામાં આવી શકે છે. જેમાં તેમને પ્રદેશ અધ્યક્ષ પણ બનાવવામાં આવી શકે છે. આ ઉપરાંત ભાજપ વિધાયક દળના નેતા તરીકે પસંદગી થાય તેવી પણ અટકળો છે.

પાર્ટી કાર્યાલય સચિવ વિનોદ શર્મા પાસે કેટલાક નેતાઓએ લેખિતમાં પોતાનો પક્ષ મુક્યો છે. નેતાઓએ લેખિતમાં જણાવ્યું છે કે તે બાબુલાલ મરાંડી જે પણ પણ નિર્ણય લેશે. તેની સાથે રહેશે. જોકે કેટલાક નેતાઓએ અસહમતિ પણ વ્યક્ત કરી છે.

મરાંડી 2000માં બિહારમાંથી અલગ બનેલા ઝારખંડના પહેલા મુખ્યમંત્રી બન્યા હતા. તેમણે 2003માં રાજીનામું આપી દીધું હતું અને તેમની જગ્યાએ અર્જુન મુંડાએ મુખ્યમંત્રી પદ સંભાળ્યું હતું. મરાંડી 2006માં પોતાની અલગ પાર્ટી બનાવી હતી. મરાંડીની ઓળખ એક આદિવાસી નેતા તરીકે છે.