જોધપુરઃ પરિવારમાં કંકાસના કારણે વ્યક્તિ ઘર છોડી કે આત્મહત્યા કરી લે તેવા કિસ્સા સાંભળ્યા છે. પરંતુ રાજસ્થાનના જોધપુરમાં એક આશ્ચર્યચકિત કરી દેતો મામલો સામે આવ્યો છે. જેને સાંભળીને જજથી માંડી આમ આદમી પણ હેરાન રહી ગયા છે. જોધપુરમાં એક યુવક તેની પત્નીથી પરેશાન થઈને કિન્નર બની ગયો હતો.


આ અનોખો કિસ્સો જોધપુરની ફેમિલી કોર્ટમાં શનિવારે સામે આવ્યો હતો. જ્યાં લગ્નના 13 વર્ષ બાદ પતિ-પત્ની પરસ્પર સહમતિથી અલગ થઈ ગયા. બંનેના છૂટાછેડાને કોર્ટમાં પણ મંજૂરી મળી ગઈ હતી. તેમને સંતાનમાં 11 વર્ષનો એક દીકરો પણ છે. યુવકે 2017માં કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. ફેમિલી કોર્ટના જજ મહેન્દ્રકુમાર સિંઘલ તથા દીનદયાળ પુરોહિતે બંનેનું કાઉન્સેલિંગ કરીને તેમને સમજાવ્યા પણ હતા. તેમ છતાં સાથે રહેવા તૈયાર નહોતા થયા.

જોધપુરના ગુલઝારપુરાના રહેવાસી વ્યકિતના 2007માં અજમેરની યુવતી સાથે નિકાહ થયા હતા. બંને પરસ્પરમાં મામા-ફઈના બાળકો છે. લગ્નના એક બે વર્ષ સુધી બધું બરાબર ચાલ્યું, પરંતુ પુત્રના જન્મ બાદ એક દિવસ બંને વચ્ચે ઝઘડો થયો. ઝઘડો એટલો વધી ગયો કે તેઓ એકબીજાનું મોં જોવાનું પણ પસંદ કરતા નહોતા કે વાત પણ કરતા નહોતા.

પતિએ આરોપ લગાવ્યો કે તેની પત્નીનું કોઈ સાથે અફેર હતું. તેં મને રોજ ટોણા મારતી હતી, જેના કારણે હું પરેશાન થઈ ગયો હતો. તેની પત્નીએ પણ પતિ પર ગંભીર આરોપ લગાવતાં કહ્યું, તે કોઈ કામ ધંધો નહોતો કરતો. જેમ તેમ કરીને ગાડું ગબડતું હતું. આ કારણે અમે બંનેએ અલગ રહેવાનો ફેંસલો કર્યો. આ દરમિયાન એક દિવસ યુવક લિંગ પરિવર્તન કરીને કિન્નર બની ગયો અને રીટા બાઈને ગુરુ બનાવી લીધા. થોડા સમય સુધી પત્નીને આ અંગે કોઈ ખબર ન પડી પરંતુ જ્યારે 2014માં વિવાદ વધી ગયો ત્યારે તેણે કિન્નર બન્યાની વાત પત્નીને કરી હતી.