ભોપાલ: વિધાનસભાની ચૂંટણી પહેલા મધ્ય પ્રદેશ કૉંગ્રેસમાં મોટાપાયે બદલાવ કરવામાં આવ્યો છે. કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સાંસદ કમલનાથને પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષની જવાબદારી સોંપી છે. આ સાથે અન્ય ચાર કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સાથે જ લાગી રહ્યું છે કે કૉંગ્રેસ કોઈ એક ચહેરા પર દાવ નથી રમવા માંગતી. કમલનાથ એમપીના છિંદવાડાથી વારંવાર લોકસભા ચૂંટણી જીતતા આવ્યા છે. જેમને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે તેમાં બાલા બચ્ચન, સુરેંદ્ર ચૌધરી, જીતુ પટવારી અને રામનિવાસ રાવતના નામ સામેલ છે.


અધ્યક્ષ પદ માટે કૉંગ્રેસ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયા પણ રેસમાં હતા પરંતુ પાર્ટીએ યુવા નેતૃત્વના બદલે અનુભવીને કમાન સોંપી છે. જ્યોતિરાદિત્ય સિંધિયાને ચૂંટણી પ્રચાર સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે.

નર્મદા યાત્રાથી પાછા ફરેલા કૉંગ્રેસના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહે પહેલા જ જાહેરાત કરી હતી કે તેઓ હવે પ્રદેશની રાજનીતિ નહી કરે. જેના કારણે તેઓ રેસમાંથી બહાર છે. દિગ્વિજય સિંહ પ્રદેશમાં પોતાના પુત્રને આગળ વધારી રહ્યા છે. હાલ કૉંગ્રેસે દિગ્વિજય સિંહને કૉંગ્રેસથી નારાજ નેતાઓને મનાવવાની જવાબદારી સોંપી છે.

મધ્યપ્રદેશા છિંદવાડાથી 9મી વખત સાંસદ તરીકે ચૂંટાયેલા કમલનાથનો જન્મ ઉત્તર પ્રદેશના કાનપુરમાં થયો છે. કમલનાથના નામે સૌથી વધારે વખત ચૂંટણી જીતવાનો પણ રેકોર્ડ છે. વર્ષ 1980માં સાતમી લોકસભામાં 34 વર્ષની ઉંમરે તેઓ પ્રથમ વખત લોકસભા પહોંચ્યા. ત્યારબાદ તેઓ વારંવાર ચૂંટાતા આવ્યા છે. 2014માં મોદી લહેર વચ્ચે પણ છિંદવાડાની જનતાએ કમલનાથ પર ભરોસો મુક્યો હતો.