કાનપુરમાં આઠ પોલીસ કર્મીઓની હત્યાનો મુખ્ય આરોપી વિકાસ દુબે એન્કાઉન્ટરમાં ઠાર થયો છે. યુપી એસટીએફની ટીમે તેને ઉજ્જૈનથી ટ્રાંજિટ રિમાંડ પર કાનપુર લાવી રહી હતી. પરંતુ શહેરથી 17 કિલોમીટર પહેલા જ ભઉતીમાં સવારે 6.30 વાગે કાફલાની એક કાર પલટી ખાઈ ગઈ હતી. વિકાસ દુબે તે ગાડીમાં સવાર હતો. ગાડી પલટી ખાદા બાદ વિકાસ દુબેએ પોલીસના એક જવાનનું હથિયાર છીનવીને ભાગવાની કોશિશ કરતો હતો. વિકાસ દુબે અને પોલીસ વચ્ચે ફાયરિંગ થયું હતું.


વિકાસને ત્રણ ગોળીઓ વાગી હતી અને તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. ત્યાર બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયો હતો જોકે જ્યાં સારવાર દરમિયાન ત્યાં તેનું મોત થયું હતું.

સુત્રોની જાણકારી પ્રમાણે, પોલીસ અધિકારીઓએ વિકાસને સરેન્ડર કરવાનું કહ્યું પણ તે માન્યો નહતો. પોલીસ કર્મીઓએ તેને સમજાવ્યો છતાં પણ તેણે ફાયરિંગ શરૂ કરી દીધું અને ઠાર થયો. ઘટનાસ્થળની આસપાસ રહેનાર લોકોએ જણાવ્યું કે, અમે ફાયરિંગનો અવાજ સાંભળ્યો હતો.

જ્યાં એન્કાઉન્ટર થયું તે જગ્યા પર અધિકારીઓ આવવાની શરૂઆત થઈ ગઈ હતી. અધિકારી ઘટનાસ્થળ પર તપાસ કરી રહ્યાં છે. એસપી અનિલ કુમારે પણ વિકાસના મોત અંગે પૃષ્ટિ કરી છે. એન્કાઉન્ટરમાં STFના બે જવાનો પણ ઘાયલ થયા છે જેમની સારવાર ચાલી રહી છે.

વિકાસ દુબેને મધ્ય પ્રદેશના ઉજ્જૈનના મહાકાલ મંદિરમાંથી ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ બાદ પોલીસે તેને સતત પૂછપરછ કરી હતી. તે દરમિયાન ઘણાં ચોંકાવનારા ખુલાસા કર્યાં હતાં અને કહ્યું હતું કે, પોલીસ કર્મીઓની હત્યા બાદ મૃતદેહોને સળગાવવા ઈચ્છતો હતો. સળગાવવા માટે મૃતદેહોને એક જગ્યાએ ઠગલો કર્યો હતો અને તેલ પણ લાવી દીધું હતું. વિકાસે પોલીસ કર્મીઓના સંપર્કમાં હોવાની વાત પણ કહી હતી.