Muslim Reservation : કર્ણાટકની ભાજપ સરકારે રાજ્યમાં મુસ્લિમોને આપવામાં આવતી 4 ટકા અનામતને સમાપ્ત કરી દીધી છે. સરકારે આ આરક્ષણ નાબૂદ કર્યું છે અને તેને બે મુખ્ય સમુદાયો, વીરશૈવ-લિંગાયત અને વોક્કાલિગામાં વહેંચી દીધું છે. આ નિર્ણય સાથે ભાજપ સરકારે 10 ટકા મુસ્લિમોને આર્થિક રીતે નબળા વિભાગ (EWS) શ્રેણીમાં સ્થાનાંતરિત કરવાનો નિર્ણય લીધો છે.



હવે વોક્કાલિગા સમુદાયને આપવામાં આવતી અનામત 4 ટકાથી વધારીને 6 ટકા કરવામાં આવી છે. પંચમસાલી, વીરશૈવ અને અન્ય લિંગાયત વર્ગો માટેનો ક્વોટા 5 ટકાથી વધારીને 7 ટકા કરવામાં આવ્યો છે.  જ્યારે મુસ્લિમ સમુદાયને હવે આર્થિક રીતે નબળા વિભાગ (EWS) ક્વોટા હેઠળ અનામત મળશે. આ કેટેગરીમાં મુસ્લિમોએ 10 ટકા EWS ક્વોટા માટે બ્રાહ્મણો, વૈશ્ય, મુદલિયાર, જૈન અને અન્ય સમુદાયો સાથે લડવું પડશે.

ચૂંટણીના એક મહિના પહેલા અનામત શ્રેણીમાં ફેરફાર

આ નિર્ણય બાદ કોંગ્રેસના પ્રવક્તા રમેશ બાબુએ કહ્યું હતું કે, પછાત રાજ્યમાં મુસ્લિમો માટે ક્વોટા અથવા આરક્ષણ લગભગ ત્રીસ વર્ષથી અસ્તિત્વમાં છે. એક રીતે જોઈએ તો રાજ્યમાં આ એક "સ્થાપિત કાયદો" બની ગયો છે. કોઈપણ વૈજ્ઞાનિક આધાર અને રાજ્ય પછાત વર્ગ આયોગના અહેવાલ વિના તેને અચાનક બદલી શકાતો નથી.

કર્ણાટકની ભાજપ સરકારે વિધાનસભા ચૂંટણીના એક મહિના પહેલા આ જાહેરાત કરી છે. જ્યારે વિપક્ષે આ નિર્ણયને સાંપ્રદાયિક પ્રેરિત અને ચૂંટણીનો ખેલ ગણાવ્યો છે. વિપક્ષે કહ્યું છે કે, તે કાયદાની કસોટી પર ટકી શકશે નહીં. પરંતુ બસવરાજ બોમાઈ કહે છે કે, કોઈ પણ રાજ્યમાં ધાર્મિક લઘુમતીઓ માટે આરક્ષણની કોઈ જોગવાઈ નથી.

આ સ્થિતિમાં સવાલ એ ઊભો થાય છે કે, શું ખરેખર કર્ણાટકમાં ધાર્મિક લઘુમતીઓને અનામત ન આપવાની પ્રથા છે, આખરે કર્ણાટકની અગાઉની સરકાર મુસ્લિમોને કયા આધારે અનામત આપી રહી છે.