Smoking, Gutkha Banned on Chamundi Hills: કર્ણાટક સરકારે મંગળવારે (3 સપ્ટેમ્બર 2024) એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. આ અંતર્ગત મૈસૂરની ચામુંડી હિલ્સમાં ધૂમ્રપાન, દારૂ પીવા અને ગુટખા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. મંગળવારે આની જાહેરાત કરતા મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું કે ચામુંડી દર્શન દરમિયાન મોબાઈલ ફોનના ઉપયોગ પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.


ચામુંડી હિલ્સમાં ચામુંડેશ્વરી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી (CKDA) ની બેઠકની અધ્યક્ષતા કર્યા પછી મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ કહ્યું, “અમે સુરક્ષા વધારવા માટે પ્રસાદમ (ખોરાક)નું વિતરણ કરવાનો, પ્લાસ્ટિક પર પ્રતિબંધ લાગુ કરવાનો અને સીસીટીવી કેમેરા લગાવવાનું નક્કી કર્યું છે."


ભક્તોની સુવિધા માટે ટાસ્ક ફૉર્સનું થશે ગઠન 
સીએમએ વધુમાં જણાવ્યું હતું કે, “આ ઓથોરિટીની રચના માત્ર ચામુંડી હિલ્સના વિકાસ પર દેખરેખ રાખવા, શ્રદ્ધાળુઓની સુવિધાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને વિસ્તારમાં ગુનાઓને રોકવા માટે કરવામાં આવી છે. "અહીં મુલાકાત લેતા લોકોની સલામતી (ખાસ કરીને દશેરા દરમિયાન) અને સરળ અનુભવ સુનિશ્ચિત કરવા માટે એક ટાસ્ક ફોર્સની સ્થાપના કરવામાં આવશે." તેમણે કહ્યું કે મંદિરની અંદર (ચામુંડી પહાડીઓ પર) ફોટોગ્રાફી પર પ્રતિબંધ રહેશે અને મોબાઈલ ફોનના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. દર્શન દરમિયાન મોબાઈલ ફોન બંધ રહેશે. અમારો ઉદ્દેશ્ય ચામુંડી હિલ્સને વધુ આકર્ષક બનાવવાનો અને તમામ સુવિધાઓ પૂરી પાડવાનો છે. જોકે, તેમણે સ્પષ્ટતા કરી હતી કે અહીં કોઈ ડ્રેસ કોડ રહેશે નહીં. મંદિરમાં કોઈપણ જાતિ, ધર્મ અને લિંગના લોકો આવી શકે છે.


આસપાસના અન્ય મંદિરોનો પણ થશે વિકાસ 
તેમણે એમ પણ કહ્યું હતું કે કેન્દ્ર સરકારની પિલગ્રિમેજ રિવાઇવલ એન્ડ સ્પિરિચ્યૂઅલ ઓગમેન્ટેશન ડ્રાઇવ (પ્રસાદ) યોજનાને અમલમાં મૂકવા માટે ઓથોરિટી તરફથી રૂ. 11 કરોડના વધારાના ભંડોળ બહાર પાડવામાં આવશે અને પાંચ મંદિરોનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે અહીં ચામુંડી ટેકરી અને મંદિર સિવાય નજીકમાં 24 વધુ મંદિરો છે. તે મંદિરોનો પણ મુખ્ય મંદિર સાથે વિકાસ કરવો જોઈએ.


પૂર્વ રાજપરિવારે બેઠકનો કર્યો વિરોધ 
આ બધાની વચ્ચે પૂર્વ શાહી પરિવારે સીકેડીએની બેઠકનો વિરોધ કર્યો, કારણ કે સીકેડીએની રચના પર કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. મૈસૂરુ-કોડાગુ ભારતીય જનતા પાર્ટી (BJP)ના સાંસદ યદુવીર વોડેયારે કહ્યું, "ઓથોરિટીની બેઠક અંગે કોર્ટના આદેશ છતાં, ચામુંડેશ્વરી મતવિસ્તાર વિકાસ સત્તામંડળની પ્રથમ બેઠક મુખ્યમંત્રીના નેતૃત્વમાં યોજાઈ હતી, જે ન થવી જોઈતી હતી. બેઠક યોજવી એ કોર્ટના આદેશનું ઉલ્લંઘન છે અને તેઓ આગામી દિવસોમાં કાયદાકીય લડાઈ લડતા રહેશે.


'સરકારને ધાર્મિંક મામલામાં હસ્તક્ષેપ ના કરવો જોઇએ' 
યદુવીર વોડેયારે કહ્યું, "અમે કોર્ટમાં ઓથોરિટીના માળખાને પડકાર્યો છે. સરકારે ધાર્મિક મામલામાં દખલ ના કરવી જોઈએ. ઓથોરિટીની રચનાથી મૂળભૂત ધાર્મિક આસ્થાના અધિકાર પર ખતરો છે અને તેઓ તેમના ધાર્મિક અધિકારો કોઈને છોડશે નહીં. "અમે ચામુંડેશ્વરી પહાડી વિસ્તારના વિકાસનો વિરોધ નથી કરી રહ્યા, પરંતુ અમે CKDAની રચનાના વિરોધમાં છીએ, જે અમારી ધાર્મિક માન્યતાઓને ઠેસ પહોંચાડે છે." મંદિર, ખાસ કરીને હિંદુ મંદિરો માટે મંદિરના નાણાંનો ઉપયોગ થતો નથી તે અંગે પણ તેમણે ખેદ વ્યક્ત કર્યો હતો.


આ પણ વાંચો


Rain Forecast: દિલ્લી, રાજસ્થાન ગુજરાત સહિત આ રાજ્યોમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી