બેંગ્લોરઃ ભારતમાં કોરોનાની બીજી લહેરનું સંકટ હજુ પણ યથાવત છે. દક્ષિણ કન્નડના જાણીતા ધર્મસ્થાનો કુકે સુબ્રામણ્યા, કટીલ શ્રદ્ધાળુઓ માટે વીકેંડમાં બંધ રહશે તેવો ન્યૂઝ એજન્સી એએનઆઈએ કર્ણાટક ડિસ્ટ્રીક્ટ ઓથોરિટીને ટાંકીને રિપોર્ટ પ્રસારિત કર્યો છે. તમામ પ્રકારની સ્પેશિયલ પૂજા, પ્રસાદ પણ બંધ રહેશે. જિલ્લા તંત્ર દ્વારા કેરળને જોડતી આ જિલ્લા બોર્ડરમાં કોરોનાના કેસ વધતા નિર્ણય લેવામાં આવ્યો છે.


મેંગ્લુરુના ડેપ્યુટી કમિશ્નર કે.વી.રાજેન્દ્રએ કહ્યું, અન્ય  રાજ્યોમાંથી આવતા શ્રદ્ધાળુઓને કાબુમાં રાખવા આ નિર્ણય લીધો છે. મંજુનાથેશ્વર મંદિર, સુબ્રમણ્ય મંદિર અને દુર્ગા પરમેશ્વરી મંદિર સવારે 7 થી સાંજ 7 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે. શનિવાર અને રવિવારે આ મંદિરો સંપૂર્ણ બંધ રહેશે. આ મંદિરોમાં રોજના 10 થી 20 હજાર શ્રદ્ધાળુઓ આવતા હોય છે. વીકેન્ડ સિવાય જે શ્રદ્ધાળુઓ મંદિરમાં દર્શન કરવા માંગતા હશે તેમણે 72 કલાકથી જૂનો નહીં તેવો આરટી-પીસીઆર ટેસ્ટ બતાવવો પડશે.


કર્ણાટક આર વેલ્યુ વધતાં બેંગ્લુરુમાં બ્રૃહત બેંગલુરુ મહાનગર પાલિકે દ્વારા રાજ્ય બહારથી આવતાં લોકો માટે ઈન્સ્ટિટ્યુશનલ ક્વોરન્ટાઈન ફરજિયાત કર્યુ છે. ઉપરાંત 16 ઓગસ્ટ સુધી રાત્રે 10 થી સવારે 6 વાગ્યા સુધી નાઈટ કર્ફ્યુ નાંખ્યો છે.


કર્ણાટકમાં કોરોનાના કેટલા છે એક્ટિવ કેસ


કર્ણાટકમાં હાલ 24,330 એક્ટિવ કેસ છે. જ્યારે 28,50,717 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 36,680 પર પહોંચ્યો છે.


ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 42,982 નવા કેસ નોંધાયા હતા અને 41,726 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. જ્યારે 533 લોકોના મોત થયા હતા. એક્ટિવ કેસમાં 723નો વધારો થયો છે. ગઈકાલે કેરળમાં 22,414 કેસ નોંધાયા હતા.


દેશમાં કોરોનાની સ્થિતિ



  • કુલ કેસઃ 3,18,12,114

  • એક્ટિવ કેસઃ 4,11,076

  • કુલ રિકવરીઃ 3,09,74,748

  • કુલ મોતઃ 4,26,290


કેટલા ટેસ્ટ થયા


ICMRના જણાવ્યા પ્રમાણે, દેશમાં અત્યાર સુધીમાં 47,48,93,363 સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 16,40,030 સેમ્પલ ટેસ્ટ કરાયા હતા.    દેશમાં અત્યાર સુધીમાં કુલ 48 કરોડ 93 લાખ 42 હજારથી વધુ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.