મુંબઈ:  મહારાષ્ટ્ર-કર્ણાટક સરહદ વિવાદને લઈને ઘણા સમયથી વિવાદ ચાલે છે ત્યારે ફરી એક વાર મહારાષ્ટ્ર-કર્ણાટકની સરહદ વિવાદનો મુદ્દો છેડાયો છે. કર્ણાટકના બેલગામની પાસે હિરબાગેવાડી ટોલનાકા પાસે કન્નડ રક્ષણ વેદિકા (કર્વે) સંગઠને મહારાષ્ટ્રના વાહનોમાં તોડફોડ કરી અને નારા લગાવ્યા, ત્યારે પૂણેના વાહનોને બેંગ્લુરૂ જવાથી રોકવામાં આવી રહ્યા છે. NCP પ્રમુખ શરદ પવારે કર્ણાટક સરકારને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. 



કર્ણાટકના બેલગામમાં કન્નડ સમૂહના 'કર્ણાટક રક્ષણા વેદિક'ના મેમ્બર્સે મહારાષ્ટ્રના ટ્રકો પર પથ્થરમારો કર્યો હતો. આ ઘટના હિરબાગડેવાડી ટોલ નાકા પાસે થઈ હતી. પોલીસે પથ્થરમારો કરી રહેલા લોકોની અટકાયત કરી હતી. તો બીજીબાજુ ઘટનાના વિરોધમાં પૂર્વ CM ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસૈનિકોએ પૂણેમાં કર્ણાટકની બસ પર 'જય મહારાષ્ટ્ર' લખી નાખ્યું હતું. અને સાથે કહ્યું હતું કે 'અમે સંસ્કારી છે, એટલે બસને નુક્સાન પહોંચાડ્યું નથી.' શિવસૈનિકોએ મહારાષ્ટ્ર-કર્ણટાક બોર્ડર પર લાગેલા ચિક્કોડીથી કર્ણાટકમાં પ્રવેશ કરીને વિરોધ કરવાનો પ્રયાસ કર્યો હતો. જેના કારણે તેમને અટકાયતમાં લીધા હતા. કોલ્હાપુરના શિવસેના પ્રમુખ વિજય દેવાનેની પણ અટકાયત કરવામાં આવી છે. આ લોકો કર્ણાટકના મુખ્યમંત્રી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેનો વિરોધ કરી રહ્યા હતા.


મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસે ટ્રક પર પથ્થરમારાની ઘટના પર કર્ણાટકના CM બોમ્માઈ સાથે વાત કરીને નારાજગી વ્યક્ત કરી છે. કર્ણાટકના મુખ્યમંત્રીએ  કહ્યું હતું કે 'આ ઘટનામાં સામેલ દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.' તેમણે આશ્વાસન આપ્યું હતું કે 'મહારાષ્ટ્રથી આવતા વાહનોની સુરક્ષા કરવામાં આવશે.'


શરદ પવારે મુખ્યપ્રધાન બસવરાજ બોમ્મઈને કહ્યું છે કે જો આ અટકશે નહીં તો તે જાતે બેલગામ આવશે. શરદ પવારે કહ્યું છે કે જો કર્ણાટક સરકાર તરફથી મહારાષ્ટ્ર અને મરાઠી જનતા પર હુમલા અટકશે નહીં અને તેમને હેરાન કરવાનું ચાલુ રાખવામાં આવશે તો સ્થિતિ વણસી જશે. જો મહારાષ્ટ્રની જનતાનો ધૈર્ય તુટ્યો તો જવાબદારી કેન્દ્ર અને કર્ણાટક સરકારની રહેશે.


શરદ પવારે કહ્યું કે કર્ણાટકના મુખ્યપ્રધાને 23 નવેમ્બરે મહારાષ્ટ્રના જત તાલુકાના 40 ગામ પર કર્ણાટકનો અધિકાર ગણાવ્યો, 24 નવેમ્બરે અક્કલકોટ પર પણ દાવો કર્યો, ત્યારબાદ તેમને નિવેદન આપ્યું કે ફડણવીસનું સપનું પુરૂ નહીં થાય. મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન સતત આક્રમક નિવેદન આપી રહ્યા છે. તેનાથી સીમાવર્તી ભાગોની સમસ્યા વધુ જટિલ બની રહી છે.