નવી દિલ્હીઃ દેશમાં કોરોનાની ત્રીજી લહેરની આશંકા વચ્ચે કેરળમાં સતત ચિંતાજનક રીતે કેસમાં વધારો થઈ રહ્યો છે. એકબાજુ દેશના અનેક રાજ્યોમાં કોરોનાના કેસ ઘટી રહ્યા છે ત્યારે કેરળમાં સ્થિતિ સારી નથી. દેશમાં રોજના નોંધાતા કેસ પૈકા 50 થી 60 ટકા કેસ માત્ર કેરળમાં જ નોંધાય છે.


આ ગંભીર સ્થિતિને જોતાં હવે કર્ણાયક સરકારે મોટું પગલું ભર્યું છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે રાજ્ય સરકારે કેરળથી આવતાં લોકો માટે સાત દિવસનું સરકારી ક્વોરન્ટાઈન ફરજિયાત બનાવ્યું છે. ક્વોરન્ટાઈન ખતમ થયા બાદ ફરીથી ટેસ્ટ કરાશે અને નેગેટિવ આવ્યા બાદ ઘરે જવાની મંજૂરી મળશે.


મંત્રી આર અશોકાએ જણાવ્યું કે, એક્સપર્ટની સલાહ બાદ આ પગલું લેવામાં આવ્યું છે. કેરળથી દક્ષિણ કન્નડ જિલ્લામાં પ્રવેશ માટે આરટીપીસીઆર નેગેટિવ બતાવવો પડશે. જેમની પાસે રિપોર્ટ નહીં હોય તેમને ચેક પોસ્ટ પરથી જ પરત મોકલી દેવાશે. આ નિયમ આજથી જ લાગુ થઈ ગયો છે.


કેરળમાં સોમવારે કોવિડ-19ના 19,622 નવા કેસ નોંધાયા હતા. આ સાથે જ કોરોના વાયરસથી સંક્રમિતોની કુલ સંખ્યા વધીને 40,27,030 પર પહોંચી ગઈ છે. જ્યારે 132 દર્દીના મોત બાદ કુલ મૃત્યુઆંક 20,673 થયો છે. રાજ્યમાં અત્યાર સુધી 37,96,317 લોકો કોરોના મુક્ત થયા છે અને 2,09,493 લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.


ભારતમાં પાંચ દિવસ બાદ 40 હજારથી ઓછા કેસ નોંધાયા છે. મોતનો આંકડો પણ ઘટ્યો છે. મંગળવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં 30,941 નવા કોરોના કેસ નોંધાયા છે અને 350 સંક્રમિતોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 24 કલાકમાં 36,275 લોકો કોરોનાથી ઠીક થયા છે. એટલે કે ગઈકાલ કરતાં 5684 એક્ટિવ કેસ ઘટ્યા છે. દેશમાં છેલ્લા પાંચ દિવસથી રોજન 40 હજારથી વધારે કેસ નોંધાતા હતા. બુધવારે 46,164, ગુરુવારે 44,658, શુક્રવારે 46,759, શનિવારે 45,083 અને સોમવારે 42,909 કોરોના કેસ નોંધાયા હતા.