બેંગલુરુઃ કર્ણાટક સરકારે બેંગલુરુ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બે સપ્તાહનું લોકડાઉન લાદયા બાદ મંગળવારે અનલોક-2 ગાઈડલાઈન પર પરત ફરવાની જાહેરાત કરી હતી. નોટિફિકેશન બહાર પાડીને રાજ્ય સરકારે કહ્યું, રાજ્યમાં રાત્રિ કરફ્યુ જ અમલી રહેશે અને રવિવારે લોકડાઉન રહેશે.


રાજ્યના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ મંગળવારે કહ્યું, બુધવારની સવારથી બેંગલુરુ કે રાજ્યના કોઈ હિસ્સામાં લોકડાઉન નહીં હોય. લોકોએ સામાન્ય જીવન તરફ ફરવું જોઈએ. સરકાર માટે રેવન્યૂ જેટલું જ મહત્વપૂર્ણ માનવીના જીવનની રક્ષા કરવી છે. આપણે સાવધાની રાખીને કોવિડ-19ના મુકાબલા માટે તૈયાર રહેવું જોઈએ.

તેમણે આગળ કહ્યું, કોરોનાનું સંક્રમણ રોકવા માટે લોકડાઉન એકમાત્ર સમાધાનનથી. ભવિષ્યમાં બેંગલુરુ કે રાજ્યના અન્ય કોઈ હિસ્સામાં તાળાબંધી નહીં કરવામાં આવે. માત્ર કન્ટેનમેન્ટ ઝોનમાં લોકોની આવવા-જવા પર પ્રતિબંધ રહેશે.

સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, કર્ણાટકમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 71,069 પર પહોંચી છે. રાજ્યમાં 1464 લોકોના મોત થયા છે. 25,459 લોકો સાજા થઈ ગયા છે અને 44,146 એક્ટિવ કેસ છે.