કોરોના વાયરસ અને મ્યુકોરમાઈકોસિસ બાદ દેશમાં વધુ એક બિમારીએ માથું ઉંચક્યું છે. કેરળમાં કોરોનાની બીજી લહેર ચાલુ છે, તેની વચ્ચે કેરળમાં ઝીંકા વાયરસના વધુ 13 કેસ પોઝિટીવ આવતા કેંદ્ર સરકારે દ્રારા કેરળમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કેરળમાં ઝીંકા વાયરસના વધતા કેસને ધ્યાનમાં લઈને કેંદ્ર સરકારે સ્થિતિનો તાગ મેળવવા માટે નિષ્ણાંતોની એક ટીમને કેરળ મોકલવામાં આવી છે. નેશનલ ઈન્સ્ટીટ્યુટ ઓફ વાયરોલોજીમાં (National Institute Of virology) મોકલાવેલા સેમ્પલમાંથી ઝીંકા વાયરસના વધુ 13 કેસ પોઝિટીવ આવતા તંત્ર દોડધામ મચી ગઈ છે. મહત્વનું છે કે કેરળમાં 24 વર્ષીય ગર્ભવતી મહિલામાં ઝીંકા વાયરસનો પ્રથમ કેસ જોવા મળ્યો હતો.


શું છે ઝીંકા વાયરસના લક્ષણો ?


ઝીંકા વાયરસના (Zika Virus) લક્ષણો સામાન્ય રીતે, ડેન્ગ્યુ જેવા જ છે. આ વાયરસની (Virus) અસરથી તાવ આવવો, માથુ દુ:ખવું, ફોલ્લીઓ અને સાંધાનો દુખાવો જેવા લક્ષણો જોવા મળે છે. મચ્છર દ્વારા આ વાઈરસ એકના શરીરમાંથી બીજા વ્યક્તિના શરીરમાં પ્રવેશે છે. ત્યારે વાયરસના લક્ષણોને ધ્યાનમાં રાખીને આરોગ્યમંત્રીએ જિલ્લા તબીબી અધિકારીઓની બેઠકમાં જણાવ્યું હતું કે, તાવ હોય તેવા સગર્ભા સ્ત્રીઓએ પોતાનું પરીક્ષણ કરાવવું જરૂરી છે.


સગર્ભા સ્ત્રીઓ ખાસ કરીને નબળા હોય છે અને આ ચેપને કારણે તેમના નવજાત શિશુને પણ સંક્રમિત કરી શકે છે, જેના પરિણામે ગિલેઇન-બેરે સિન્ડ્રોમને  કારણે રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે. ઉપરાંત, નવજાત શિશુમાં માઇક્રોસેફેલી જેવી જન્મજાત ખામી પણ પેદા કરી શકે છે, જે મગજના વિકાસને અસર કરશે.


રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર “નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજીમાં મોકલવામાં આવેલા 19 સેમ્પલમાંથી 13 ઝીંકા વાયરસના કેસ પોઝિટીવ આવતા કેંદ્ર સરકાર દ્વારા એલર્ટ જાહેર કરાયું છે. ”


સગર્ભા સ્ત્રીઓએ જાતે પરીક્ષણ કરાવવું હિતાવહ છે


કેરળના આરોગ્ય પ્રધાન  વીણા જ્યોર્જે જણાવ્યું હતું કે, “ઝીંકા વાયરસના ફેલાવાને અંકુશમાં લેવા એક એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે, જેનાથી ઝીંકા વાયરસને અંકુશમાં કરી શકાશે. વધુમાં જણાવ્યું હતું કે, આવા સમયે તાવ આવે તો સગર્ભા સ્ત્રીઓએ જાતે પરીક્ષણ કરાવવું હિતાવહ છે.”