Khalistani Leader Amritpal Singh: ખાલિસ્તાન સમર્થક અમૃતપાલ સિંહને પંજાબ પોલીસે રવિવારે (19 માર્ચ) ધરપકડ કરી છે.  પોલીસે શનિવારે (18 માર્ચ) અમૃતપાલ સિંહ અને તેના સમર્થકો સામે મોટી કાર્યવાહી શરૂ કરી હતી. પોલીસે અમૃતપાલ સિંહની કારનો પીછો કર્યો હતો. જોકે તે ભાગવામાં સફળ રહ્યો હતો. હવે પોલીસે તેને કસ્ટડીમાં લીધો છે.


પોલીસના જણાવ્યા અનુસાર અમૃતપાલ સિંહના નેતૃત્વમાં 'વારિસ પંજાબ દે' (ડબ્લ્યૂપીડી)ના 112 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે જણાવ્યું કે ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા છે.


અમૃતપાલ સિંહ વિરુદ્ધ ગેરકાયદેસર હથિયાર કેસમાં FIR


પોલીસે જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં  315 બોરની એક રાઈફલ, 12 બોરની સાત રાઈફલ, એક રિવોલ્વર અને 373 કારતૂસ સહિત નવ હથિયારો મળી આવ્યા છે. પોલીસે રવિવારે જણાવ્યું કે ગેરકાયદેસર હથિયાર રાખવાના મામલામાં પણ પોલીસે અમૃતપાલ સિંહ અને તેના સમર્થકો વિરુદ્ધ FIR નોંધી છે.


પંજાબમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે



ધરપકડને ધ્યાનમાં રાખીને પંજાબમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે અને શનિવાર સાંજથી ઈન્ટરનેટ બંધ કરી દેવામાં આવ્યું છે. અધિકારીએ રવિવારે કહ્યું કે પંજાબમાં ઈન્ટરનેટ અને એસએમએસ સેવાઓ પર સસ્પેન્શનનો સમયગાળો સોમવાર બપોર સુધી લંબાવવામાં આવ્યો છે.


અમૃતપાલ સિંહ અને તેમના સમર્થકો પર શું છે આરોપ ?


અધિકારીઓના જણાવ્યા અનુસાર  24 ફેબ્રુઆરીએ અજનાલા પોલીસ સ્ટેશન પર થયેલા હુમલા માટે WPD સંલગ્ન વ્યક્તિ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. ગયા મહિને, અમૃતપાલ અને તેના સમર્થકો, તલવારો અને બંદૂકો સાથે, બેરિકેડ તોડીને અમૃતસર શહેરની બહારના અજનાલા પોલીસ સ્ટેશનમાં પ્રવેશ્યા હતા. આ તમામ અમૃતપાલના સહયોગીને મુક્ત કરવાની માંગ કરી રહ્યા હતા.


આ ઘટનામાં પોલીસ અધિક્ષક સહિત છ પોલીસકર્મી ઘાયલ થયા હતા. દુબઈમાં રહેતા અમૃતપાલ સિંહને ગયા વર્ષે 'વારિસ પંજાબ દે'ના વડા બનાવવામાં આવ્યા હતા, જેની સ્થાપના અભિનેતા અને કાર્યકર્તા દીપ સિદ્ધુએ કરી હતી. દીપ સિદ્ધુનું ગયા વર્ષે ફેબ્રુઆરીમાં એક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું.


Amritpal Singh : આખા પંજાબને માથે લેનાર અમૃતપાલ સિંહ આખરે છે કોણ?


અમૃતપાલ સિંહ 'વારિસ પંજાબ દે'નો વડો છે. આ સંસ્થાની સ્થાપના પંજાબી અભિનેતા દીપ સિદ્ધુએ 2001માં કરી હતી. અમૃતપાલ સિંહનો જન્મ 1993માં પંજાબના અમૃતસરના ખેડા ગામમાં થયો હતો. અભિનેતા દીપ સિદ્ધુનું એક કાર અકસ્માતમાં મૃત્યુ થયું ત્યારબાદ અમૃતપાલ સિંહ આ સંસ્થાના વડો બન્યો હતો. અમૃતપાલ સિંહ ઘણીવાર અલગ-અલગ મંચ પરથી પોતાને શીખ સમુદાયના નેતા ગણાવતો આવ્યો છે. અમૃતપાલ સિંહે એઆરઆઈ કિરણદીપ કૌર સાથે લગ્ન કર્યા છે.