નવી દિલ્હીઃ લોકડાઉનમાં છૂટ બાદ દેશમાં કોરોનાના કેસમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. ભારતમાં કોરોના સંક્રમિતોની સંખ્યા બે લાખ પહોંચવા આવી છે. છેલ્લા થોડા દિવસોથી કેટલાક શહેરો અને જિલ્લામાં કોરોનાના કેસમાં ઉછાળો આવ્યો છે. દેશમાં કોવિડ-19થી સૌથી વધારે અસરગ્રસ્ત રાજ્ય મહારાષ્ટ્ર છે. દેશમાં કોરોનાના 10 હજારથી વધારે કેસ નોંધાયા હોય તેવા પણ જિલ્લા છે.


હિન્દુસ્તાન ટાઈમ્સના અહેવાલ પ્રમાણે, મહારાષ્ટ્રના મુંબઈમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. મુંબઈમાં 41,206 કેસ નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA)ના આંકડા પ્રમાણે શહેરમાં છેલ્લા બે દિવસ(રવિવાર સુધી)માં 4,284 પોઝિટિવ કેસ નોંધાયા છે. ધારાવી જેવા સ્લમ વિસ્તાર હોટસ્પોટ તરીકે ઉભર્યો છે, જ્યાં આ સૌથી મોટી સમસ્યા છે. 1,333 મોત સાથે મુંબઈ દેશના કોઈ પણ જિલ્લામાં થયેલા મોતની બાબતે પણ મોખરે છે.

તમિલનાડુની રાજધાની ચેન્નઈમાં કોવિડ-19 પોઝિટિવ કેસની સંખ્યા સૌથી વધારે છે. સરકારી આંકડા પ્રમાણે ચેન્નઈ જિલ્લામાં 14,800 કેસ નોંધાયા છે અને કોરોના વાયરસથી 132 લોકોના મોત થયા છે. જિલ્લામાં છેલ્લા બે દિવસમાં 1,420 કેસ નોંધાયા છે.

ગુજરાતનો અમદાવાદ જિલ્લો આ લિસ્ટમાં ત્રીજા ક્રમે છે. જિલ્લામાં કોવિડ 19ના 12,180 કેસ નોંધાયા છે. મોતનો આંકડો 842 પર પહોંચ્યો છે.

મહારાષ્ટ્રના થાણેમાં કોવિડ-19નો ફેલાવે ઝડપી થયો છે. થાણેમાં 10,488 કેસ નોંધાયા છે અને 227 લોકોના મોત થયા છે. એનડીએમએના ડેટા પ્રમાણે છેલ્લા બે દિવસમાં અહીં કોવિડ-19ના 2,405 કેસ નોંધાયા છે.

પુણે કોવિડ-19 હોટસ્પોટ હોય તેવો મહારાષ્ટ્રનો ત્રીજો જિલ્લો છે. પુણેમાં કોરોનાના 8560 કેસ નોંધાયા છે અને 384 મોત થયા છે. છેલ્લા બે દિવસમાં અહીં કોરોનાના કેસમાં 1823નો વધારો થયો છે.