Lalit Modi: આઇપીએલ (IPL) ના પૂર્વ ચેરમેન લલિત મોદીએ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને તેની ગેંગ તરફથી મળેલી કથિત જાનથી મારી નાખવાની ધમકીઓને લઈને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેમણે મેચ ફિક્સિંગ અને દાઉદ ઇબ્રાહિમ સાથે જોડાયેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે 'તેમની પેન્ટમાં જ પેશાબ નીકળી ગયો હતો.' તેમણે પહેલીવાર ખુલાસો કર્યો કે અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને તેની ગેંગ તરફથી મળેલી કથિત જાનથી મારી નાખવાની ધમકીઓ ક્રિકેટ પ્રશાસનમાંથી કાયમી ધોરણે નિવૃત્તિ લેવાના તેમના નિર્ણય પાછળનું મોટું કારણ હતું.
દાઉદના કારણે લલિત મોદીએ લીધી ક્રિકેટમાંથી નિવૃત્તિ?
ANI ને આપેલા ઇન્ટરવ્યુમાં લલિત મોદીએ વિગતવાર જણાવ્યું કે કેવી રીતે IPL ના શરૂઆતના વર્ષોમાં મેચ ફિક્સિંગ સામેના તેમના અડગ વલણની સીધી ટક્કર ડી-કંપની દ્વારા નિયંત્રિત અબજો ડોલરના અંડરગ્રાઉન્ડ સટ્ટાબાજીના નેટવર્ક સાથે થઈ હતી. તેમણે દાવો કર્યો કે 'આ ગેંગ એક એવું 'સટ્ટા બજાર' ચલાવે છે, જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે, જ્યાં દરેક બોલ સાથે દાવ બદલાતા રહે છે.' જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમણે દાઉદ ઇબ્રાહિમના કારણે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી, તો IPL ના સ્થાપક અને પ્રથમ અધ્યક્ષ લલિત મોદીએ કહ્યું, 'આ સૌથી મોટા કારણોમાંથી એક છે.'
'હવે ગેમ નહીં, ઓવર અને બોલ ફિક્સ થાય છે'
લલિતે ખુલાસો કર્યો, 'દાઉદ ઇબ્રાહિમ એક કુખ્યાત સટ્ટાબાજ છે. તે ક્રિકેટ સટ્ટાબાજીને કંટ્રોલ કરતો હતો. તે દિવસોમાં, આ 2 અબજ ડોલરનો અંડરગ્રાઉન્ડ સટ્ટાબાજીનો બિઝનેસ હતો. આજે, આ પ્રતિ મેચ 4 અબજ ડોલરનો અંડરગ્રાઉન્ડ સટ્ટાબાજીનો બિઝનેસ છે. આ બહુ મોટો છે. આમાં દરેક બોલ પર દાવ લગાવવાની શક્યતા હોય છે. આ સટ્ટા બજાર છે, હવે કોઈ મેચ ફિક્સ નથી કરતું. તમે ઓવર ફિક્સ કરો છો. તમે બોલ ફિક્સ કરો છો.'
'દાઉદે કરાવ્યો હુમલો'
લલિત મોદીએ આગળ કહ્યું, 'તેમને વિશ્વાસ હતો કે હું આઇપીએલ 2 નહીં કરી શકું. આઇપીએલ 2 નહીં થાય, તેના પર મોટા-મોટા સટ્ટા લગાવવામાં આવ્યા હતા. મુંબઈ પોલીસે બધું જ રેકોર્ડ કર્યું. મુંબઈ પોલીસે મને Z સિક્યોરિટી આપી હતી. મુંબઈમાં મારા ઘરની બહાર ફાયરિંગ થયું, જ્યારે હું કેપ ટાઉનમાં હતો, ત્યારે જોહાનિસબર્ગમાં મારા પર જાનલેવા હુમલો થયો. મોન્ટેનેગ્રોમાં મારા પર જાનલેવા હુમલો થયો. લંડનમાં મારા પુત્રનું પણ અપહરણ કરવામાં આવ્યું હતું.'
તેમણે કહ્યું, 'મેં આ વાર્તા કોઈને કહી નહોતી. મને સવારે 3:30 વાગ્યે ફોન આવ્યો. એક એવા માણસનો જે તમને બધી આઇપીએલ મેચોની આસપાસ જોવા મળે છે. તે રાજકારણીઓની આસપાસ રહે છે, તે લંડનમાં રહેતો માણસ છે. તે દલાલ-ડીલર ટાઈપનો માણસ છે. તેણે કહ્યું કે તમારે અત્યારે જ બાબાને મળવું પડશે. હું બાબાના પેન્ટહાઉસમાં ગયો. તેણે મને કહ્યું કે તેને એક IPL ટીમ જોઈએ છે. મેં તેને કહ્યું કે મને દાઉદથી પરેશાની છે.'
'તેણે કહ્યું, હું આને એક મિનિટમાં ઉકેલી દઉં છું. આ બધી તેમની જ સાજીશ હતી. તે પોતાની છત પર ગયો, પોતાનો સેટેલાઇટ ફોન કાઢ્યો અને દાઉદને ફોન કર્યો. 'મારી પેન્ટમાં પેશાબ નીકળી ગયો (I pissed in my pants).' આ 2012 ની વાત છે. મને નથી ખબર કે જ્યારે મેં તેની સાથે ફોન પર વાત કરી ત્યારે દાઉદ ક્યાં હતો. આ મારું રેકોર્ડ થયેલું નિવેદન છે. પછી આ બાબા બધી જગ્યાએ દેખાવા લાગ્યા. તે દુનિયાદારી જાણે છે.'
લલિત મોદીએ જણાવ્યું હુમલાઓનું કારણ
આઇપીએલના પૂર્વ ચેરમેને કહ્યું, 'મારા પર હુમલા એટલા માટે કરવામાં આવી રહ્યા હતા કારણ કે મેં આઇપીએલને દક્ષિણ આફ્રિકામાં શિફ્ટ કરી દીધી હતી. તેમણે સટ્ટો લગાવ્યો હતો કે આઇપીએલ દક્ષિણ આફ્રિકામાં શિફ્ટ નહીં થાય. તેથી સ્વાભાવિક રીતે તેમને ઘણું નુકસાન થયું અને તેઓ ઈચ્છતા હતા કે હું એ નુકસાનની ભરપાઈ કરું. દાઉદે (એક ઇન્ટરવ્યુમાં) કહ્યું, અમે લલિત મોદી સાથેના મુદ્દા ઉકેલી લીધા છે. મેં નહીં. મેં બસ એટલું જ કહ્યું કે હું ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ લઈશ. મેં મારું વચન આપ્યું છે.
