મુંબઈઃ મહારાષ્ટ્રમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. અનેક પ્રતિબંધો લાગુ કરવા છતાં કોરોના નિયંત્રણમાં ન આવતાં આખરે મહારાષ્ટ્ર સરકારે કડક લોકડાઉન ગુરુવાર તા. ૨૨ એપ્રિલ ૨૦૨૧ના રાતે ૮ વાગ્યાથી ૧ મે સવારે ૭ વાગ્યા સુધી લાદવામાં આવ્યું છે. સરકારે  બુધવારે મોડી રાતે કડક નવી નિયામવલી જારી કરી હતી. જેમાં સર્વ સરકારી કચેરીમાં ૧૫ ટકા કર્મચારીને પરવાનગી આપવામાં આવી છે. આ સાથોસાથ આંતર જિલ્લા, આંતર શહેરમાં માત્ર અત્યાવશ્યક સેવાના લોકોને જ પ્રવેશ, બાકી સામાન્ય જનતાને નહીં. મુંબઈની લોકલ, મેટ્રો અને મોનો રેલ સેવામાં માત્ર અત્યાવશ્યક સેવાના કર્મચારીઓ પ્રવાસ કરી શકશે. સામાન્ય જનતાને પ્રવેશ નહીં. લગ્ન સમારંભ અને સાર્વજનિક પરિવહન વ્યવસ્થા બાબતે પણ કડક નિયમાવલી છે. આ અગાઉ મુકાયેલા તમામ પ્રતિબંધો યથાવત્ રહેશે. એમ નવા નિયમાવલીમાં ઉલ્લેખ કરાયો છે. ગઈ કાલે યોજાયેલી પ્રધાન મંડળની બેઠકમાં મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ કડક લોકડાઉન નાંખવાનો નિર્ણય લીધો હતો.



  • એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં નાગરિકોને પ્રવેશ પર પ્રતિબંધ, ચોક્કસ કારણ હશે તેને પ્રવેશ મળશે, અત્યાવશ્યક સેવાના લોકોને માત્ર પરવાનગી.

  • આજે રાતે ૮ વાગ્યાથી ૧ મે ૨૦૨૧ના સવારે ૭ વાગ્યા સુધી કડક લોકડાઉન લાગુ.

  •  મુંબઈ લોકલ ટ્રેન, મોનો અને મેટ્રો રેલમાં માત્ર અત્યાવશ્યક સેવાના લોકોને પરવાનગી. સામાન્ય જનતાને પરવાનગી નથી.

  • બધી સરકારી કચેરીમાં કર્મચારીઓને ૧૫ ટકા સુધી ઉપસ્થિત રહેશે.

  • તમામ ખાનગી ઓફિસો બંધ.

  • લગ્નસમારંભમાં ૨૫ લોકોની ઉપસ્થિતિમાં કરવાની રહેશે. માત્ર બે કલાકમાં લગ્ન વિધિ પતાવી પડશે. આ નિયમ તોડનારાને ૫૦ હજાર રૃપિયાનો દંડ લેવાશે.

  • ખાનગી વાહતૂક ફક્ત અત્યાવશ્યક સેવા પૂરતી.

  • સાર્વજનિક બસને ૫૦ ટકા ક્ષમતાની સાથે શરૃ પણ આંતર જિલ્લા અથવા આંતર શહેર પ્રવાસ કરી શકાશે નહીં.

  • ખાનગી બસમાં સામાન્ય નાગરિકો આંતર જિલ્લા અને આંતર શહેરમાં પ્રવાસ કરનારાને ૧૪ દિવસ ક્વોરન્ટીનનો હાથમાં સિક્કો મારવો પડશે.

  • મહારાષ્ટ્રમાં ૨૪ કલાકમાં કોરોનાના નવા ૬૭,૪૬૮ નવા કેસ નોંધાયા હતા અને ૫૬૮ દરદીને કોરોના ભરખી ગયો હતો. જ્યારે ૫૪,૯૮૫ દરદી સાજા થતાં હોસ્પિટલથી ડિસ્ચાર્જ અપાયો છે અને રાજ્યમાં હાલ કોરોનાના ૬,૯૫,૭૪૭  એક્ટિવ કેસ છે. જેઓ રાજ્યની વિવિધ હોસ્પિટલમાં સારવાર લે છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.


મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ૨,૪૬,૧૪,૪૮૦ લોકોના ટેસ્ટ કરાયા હતા. આ પૈકી ૪૦,૨૭,૮૨૭ કોરોના પોઝિટિવ નોંધાયા છે. અને મરણાંકની સંખ્યા વધીને ૬૧૯૧૧ થઈ છે. જ્યારે કોરોનાના ૩૨,૬૮,૪૪૯ દરદી કોરોનાથી મુક્ત થયા છે. એટલે કે રિકવરીનું પ્રમાણ વધીને ૮૧.૧૫ ટકા થયું છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું.  મહારાષ્ટ્રમાં આજ દિને ૩૯,૧૫,૨૯૨ દરદી હોમ ક્વોરન્ટીન છે. જ્યારે ૨૮૩૮૪ દરદી સંસ્થાત્મક ક્વોરન્ટીન છે, એમ રાજ્યના આરોગ્ય વિભાગે જણાવ્યું હતું. થાણે, નાગુપર, નાશિક, અહમદનગર અને ઔરંગાબાદમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે.