નવી દિલ્હી: કોરોના વાયરસની મહામારી સામે લડવા દેશમાં એકવાર ફરી લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. હવે 1 જૂનથી 30 જૂન સુધી લોકડાઉન 5.0 લાગુ રહેશે. શરતોને આધારે ધાર્મિક સ્થળ ખુલશે. રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યૂ રહેશે. સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે, લોકડાઉન-5ને અનલોક-1 નામ આપવામાં આવ્યું છે.


મુખ્ય વાતો

- લૉકડાઉન ખત્મ થશે, અનલોક-1 શરૂ થશે.
- લોકડાઉન માત્ર કન્ટેનમેન્ટ ઝોનમાં 30 જૂન સુધી લાગુ રહેશે.
- કન્ટેનમેન્ટ ઝોનમાં માત્ર આવશ્યક સેવાઓ માટે અનુમતિ રહેશે
- ફેઝ -1માં 8 જૂનથી ધાર્મિક સ્થળ, શોપિંગ મોલ, રેસ્ટરા ખુલશે, તે સિવાય એસઓપી સ્વાસ્થ્ય મંત્રાલય જાહેર કરશે.
- 30 જૂન સુધી નાઈટ કફ્યૂ જારી રહેશે.
- ફેઝ-2માં સ્કૂલ-કૉલેજ ખોલવા અંગે જુલાઈમાં નિર્ણય લેવાશે
- સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ યથાવત રહેશે
- ફેઝ-3માં સ્થિતિની સમીક્ષા બાદ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ, મેટ્રો, સિનેમાં, જિમ, સ્વીમિંગ પુલ, બાર, એસેમ્બલી હોલને ખોલવા અંગે નિર્ણય લેવાનમાં આવશે.
- આતંરરાજ્ય પરિવહન પર પ્રતિબંધ નહીં રહે, જો કે, રાજ્ય સરકાર ઈચ્છે તો પરિવહન પર નિયંત્રણ કરી શકે છે.



કોરોના વાયરસના સંક્રમણને રોકવા દેશમાં લાગુ કરવામાં આવેલા લોકડાઉનનો ચોથો તબક્કો 31 મેના રોજ પૂરો થાય છે. લોકડાઉન 4.0 18 મેથી 31 મે સુધી લાગુ કરવામાં આવ્યું હતું.

સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,73,763 પર પહોંચી છે. 4971 લોકોના મોત થયા છે અને 82,370 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 86,422 એક્ટિવ કેસ છે.