Rahul Gandhi In Lok Sabha: કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ લોકસભામાં તેમના ભાષણ દરમિયાન કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. રાહુલ ગાંધીએ અગ્નિવીર સ્કીમ, અદાણી કેસને લઈને સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે, 'ભારત જોડો યાત્રા' દરમિયાન અમે લોકોના મંતવ્યો સાંભળ્યા અને અમારી વાત પણ રાખી. પ્રવાસ દરમિયાન અમે બાળકો, મહિલાઓ, વડીલો સાથે વાત કરી. રાહુલે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલને લઈને પણ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. 


લોકસભામાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું કે જ્યારે અમે યુવાનોને તેમની નોકરી વિશે પૂછ્યું તો ઘણાએ કહ્યું કે, તેઓ બેરોજગાર છે અથવા કેબ ચલાવે છે. ખેડૂતોએ પીએમ-વીમા યોજના હેઠળ પૈસા ન મળવાની વાત કરી, તેમની જમીન છીનવી લેવામાં આવી, જ્યારે આદિવાસીઓએ આદિવાસી બિલની વાત કરી. લોકોએ અગ્નિવીર યોજનાની પણ વાત કરી પરંતુ યુવાનોએ કહ્યું કે, તે અમને 4 વર્ષ બાદ નોકરી છોડવાનું કહેશે.


રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નિવૃત્ત વરિષ્ઠ અધિકારીઓએ કહ્યું કે, અગ્નવીર યોજના આરએસએસ, ગૃહ મંત્રાલય તરફથી આવી છે આર્મી તરફથી નહીં. તેમણે કહ્યું હતું કે, સેના પર અગ્નિવીર યોજના થોપવામાં આવી રહી છે. નિવૃત્ત અધિકારીઓએ કહ્યું કે, લોકોને હથિયારોનો ઉપયોગ કરવાની તાલીમ આપવામાં આવે છે અને પછી સમાજમાં પાછા જવા માટે કહેવામાં આવે છે, તેનાથી હિંસા ભડકશે. તેઓ (નિવૃત્ત અધિકારીઓ)ને લાગે છે કે અગ્નિવીર યોજના સેના તરફથી નથી આવી અને NSA અજીત ડોભાલે આ યોજના સેના પર લાગુ કરી.


કોંગ્રેસ સાંસદે વધુમાં કહ્યું હતું કે, રાષ્ટ્રપતિના સંબોધનમાં બેરોજગારી અને મોંઘવારી જેવા કોઈ શબ્દો નથી. તમિલનાડુ, કેરળથી લઈને હિમાચલ પ્રદેશ સુધી, દરેક જગ્યાએ આપણે એક જ નામ 'અદાણી' સાંભળતા આવ્યા છીએ. આખા દેશમાં ફક્ત 'અદાણી', 'અદાણી', 'અદાણી'... લોકો મને પૂછતા હતા કે, અદાણી કોઈપણ વ્યવસાયમાં પ્રવેશ કરે છે અને ક્યારેય નિષ્ફળ જતા નથી. યુવાનોએ અમને પૂછ્યું કે, અદાણી હવે 8-10 સેક્ટરમાં છે અને 2014 થી 2022 સુધીમાં તેમની નેટવર્થ $8 બિલિયનથી $140 બિલિયન સુધી કેવી રીતે પહોંચી? કાશ્મીર અને હિમાચલના સફરજનથી લઈને બંદરો, એરપોર્ટ અને તે રસ્તાઓ સુધી કે જેના પર આપણે ચાલીએ છીએ ત્યાં માત્ર અદાણીની જ વાત થઈ રહી છે.


રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, આ સંબંધોની શરૂઆત ઘણા વર્ષો પહેલા જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે થઈ હતી. એક વ્યક્તિ પીએમ મોદી સાથે ખભે ખભા મિલાવીને ઉભો હતો, તે પીએમ પ્રત્યે વફાદાર હતો અને મોદીને મદદ કરી હતી. 2014માં પીએમ મોદી દિલ્હી પહોંચ્યા ત્યારે અસલી જાદુ શરૂ થયો હતો. એવો નિયમ છે કે જેને અગાઉ ક્યારેય એરપોર્ટનો અનુભવ ન હોય તેને એરપોર્ટના વિકાસમાં સામેલ કરી શકાય નહીં. ભારત સરકારે આ નિયમમાં ફેરફાર કર્યો છે. આ નિયમમાં ફેરફાર કરીને છ એરપોર્ટ અદાણીને આપવામાં આવ્યા હતા.


તેમણે કહ્યું હતું કે, તે પછી ભારતના સૌથી નફાકારક એરપોર્ટ મુંબઈ એરપોર્ટને CBI, ED જેવી એજન્સીઓનો ઉપયોગ કરીને GVK પાસેથી હાઇજેક કરવામાં આવ્યું હતું અને ભારત સરકાર વતી અદાણીને આપવામાં આવ્યું હતું. હવે અદાણી પાસે સંરક્ષણ ક્ષેત્ર, ડ્રોન ક્ષેત્રનો કોઈ અનુભવ નથી. અદાણીએ ક્યારેય ડ્રોન બનાવ્યા નથી. ડ્રોન માત્ર પરંતુ HAL, ભારતની અન્ય કંપનીઓ બનાવે છે. તે છતાં પીએમ મોદી ઈઝરાયેલ જાય છે અને અદાણીને કોન્ટ્રાક્ટ મળે છે. ગઈકાલે પીએમે HALમાં કહ્યું હતું કે, અમે ખોટા આરોપો લગાવ્યા છે, પરંતુ વાસ્તવમાં HALના 126 એરક્રાફ્ટનો કોન્ટ્રાક્ટ અનિલ અંબાણીને ગયો છે.


રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, પીએમ મોદી ઓસ્ટ્રેલિયા જાય છે અને જાદુઈ રીતે SBIએ અદાણીને 1 અબજ ડોલરની લોન આપી હતી. ત્યાર બાદ તે બાંગ્લાદેશ જાય છે અને પછી બાંગ્લાદેશ પાવર ડેવલપમેન્ટ બોર્ડે અદાણી સાથે 25 વર્ષનો કરાર કર્યો હતો. પહેલા અદાણી મોદીના જહાજમાં જતા હતા, હવે મોદી અદાણીના જહાજમાં જાય છે. રાહુલ ગાંધીએ ગૃહમાં ગૌતમ અદાણીનો ફોટો બતાવ્યો જેના પર લોકસભા સ્પીકરે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, આ વાજબી નથી.