નવી દિલ્હી: કોરોના સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યું છે. લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલા કોવિડ 19ની સંક્રમિત થયા છે. લોકસભા અધ્યક્ષને દિલ્હી એઈમ્સમાં દાખલ  કરવામાં આવ્યા છે હાલ તેમની હાલત સ્થિર છે. 


ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સએ રવિવારે એક નિવેદનમાં કહ્યું કે ઓમ બિરલાની હાલત સ્થિર છે અને તેમના મુખ્ય અંગ સામાન્ય રીતે કામ કરી રહ્યા છે. હોસ્પિટલ મુજબ 58 વર્ષના ઓમ બિરલા 19 માર્ચે કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા અને તેમને બીજા દિવસે એઈમ્સ કોવિડ કેંદ્રમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.




દેશમાં ફરી એકવાર કોરોના વાયરસ ઘાતક થઇ રહ્યો છે. રવિવારે દેશમાં છેલ્લા 24 કલાકમાં 43,846 નવા કેસો નોંધાતા દેશમાં હાહાકાર મચી ગયો છે. આ મહામારીથી એક જ દિવસમાં 197 લોકોના મોત થયા છે. દેશમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 1,15,99,130 પર પહોંચી છે. જ્યારે કુલ રિકવરી 1,11,30,087 પર પહોંચી છે. કુલ એક્ટિવ કેસની સંખ્યા 3,09,087 છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,59,755 પર પહોંચ્યો છે.


દેશમાં 4,46,03,841 લોકોને વેક્સિનના ડૉઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં 16 જાન્યુઆરીથી કોરોના રસી લગાવવાની શરૂઆત થઈ હતી. રસીનો બીજો ડોઝ 13 ફેબ્રુઆરીથી આપવામાં આવી રહ્યો છે. દેશમાં કોરોનાથી મૃત્યુદર 1.38 ટકા છે, જ્યારે રિકવરી રેટ આશરે 96 ટકા છે.



કોરોનાના એક્ટિવ કેસના મામલે ભારત વિશ્વમાં આઠમા ક્રમે છે. દેશમાં કોરોનાથી સૌથી વધુ મોત મહારાષ્ટ્રમાં થયા છે. દેશના કેટલાક એવા રાજ્યો છે, જ્યાં કોરોનાથી સંક્રમિત એક પણ વ્યક્તિનું મોત થયું નથી. જેમાં અંદામાન નિકોબાર, આંધ્રપ્રદેશ, અરૂણાચલ પ્રદેશ, આસામ, દાદા નગર હવેલી, લદ્દાખ, લક્ષદ્વીપ, મિઝોરમ, નાગાલેંડ, સિક્કિમ, ત્રિપુરાનો સમાવેશ થાય છે.



કોરોના સંક્રમિતોની સંખ્યાના હિસાબે ભારત વિશ્વનો ત્રીજો સૌથી પ્રભાવિત દેશ છે. રિકવરી મુદ્દે અમેરિકા બાદ ભારતનો બીજો નંબર છે. મોતના મામલે અમેરિકા, બ્રાઝિલ અને મેક્સિકો બાદ ભારત ચોથા ક્રમે છે.