ભોપાલ: મધ્યપ્રદેશના રાજકારણ માટે આજનો દિવસ ખૂબ જ અગત્યનો છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મધ્યપ્રદેશમાં આજે ફ્લોર ટેસ્ટ થવાનો છે. પ્રદેશમાં કમલનાથ સરકાર રહેશે કે પછી શિવરાજ સિંહ સત્તા પર પાછા ફરશે. મધ્યપ્રદેશમાં બહુમત પરિક્ષણ પહેલા જ કૉંગ્રેસના દિગ્ગજ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે કૉંગ્રેસના 22 ધારાસભ્યોના રાજીનામા બાદ કમલનાથ સરકાર પાસે બહુમત માટે નંબર નથી. દિગ્વિજય સિંહે કહ્યું પૈસા અને સત્તાના જોર પર એક બહુમતીવાળી સરકારને અલ્પમતમાં લાવવામાં આવી છે.




મુખ્યમંત્રી કમલનાથે આજે બપોરે 12 વાગ્યે એક પત્રકાર પરિષદ કરવાના છે. માનવામાં આવી રહ્યું છે કે પત્રકાર પરિષદમાં મુખ્મમંત્રી રાજીનામાની જાહેરાત કરી શકે છે.



સુપ્રીમ કોર્ટના આદેશ બાદ મધ્યપ્રદેશ વિધાનસભાના અધ્યક્ષ નર્મદા પ્રસાદ પ્રજાપતિએ કોંગ્રેસના બાકી બચેલા તમામ 16 બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લીધા. આ પહેલાં સ્પીકરે કોંગ્રેસના છ બળવાખોર ધારાસભ્યોના રાજીનામા સ્વીકારી લીધા હતા. આ રીતે મધ્યપ્રદેશણાં 22 બળવાખોર ધારાસભ્યોના રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. આ બળવાખોર ધારાસભ્યોમાં મોટાભાગના જ્યોતિરાદિત્ય સિંધિયાના સમર્થક છે.

મધ્યપ્રદેશ વિધાનસભાના પ્રમુખ સચિવ અવધેશ પ્રતાપ સિંહે કહ્યું, મધ્યપ્રદેશ વિધાનસભાનું ખાસ સત્ર 20મી માર્ચના રોજ બપોરે 2 વાગ્યે બોલાવ્યું છે. આ સત્ર સાંજે પાંચ વાગ્યા સુધી ચાલશે. તેમણે કહ્યું કે આ સત્ર સુપ્રીમ કોર્ટના આદેશની આજ્ઞાનું પાલન કરતાં બોલાવામાં આવ્યું છે.

મધ્યપ્રદેશમાં રાજકીય સંકટ વચ્ચે ગુરૂવારે સુપ્રીમ કોર્ટે મોટો નિર્ણય સંભળાવતા મુખ્યમંત્રી કમલનાથને શુક્રવારે ગૃહમાં બહુમત સાબિત કરવાનો આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું બહુમત સાબિત કરવાની કાર્યવાહી શુક્રવાર સાંજે 5 વાગ્યે સુધીમાં પૂરી થઈ જવી જોઈએ.

સુપ્રીમ કોર્ટે સદનની કાર્યવાહીની વીડિયોગ્રાફી કરવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે બળવાખોર ધારાસભ્યોને સુરક્ષા આપવામં આવે. કોર્ટે કહ્યું બળવાખોર ધારાસભ્યોને વિધાનસભામાં આવવાને લઈને કોઈ દબાવ નથી.