ભોપાલ: ભોપાલમાં જીવલેણ કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ત્યારે સંક્રમણને રોકવા માટે શહેરમાં 10 દિવસ માટે લોકડાઉન લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ પહેલા ભોપાલના 25 વિસ્તારોમાં લોકડાઉન જાહેર કરાયું હતું. આ વિસ્તારોમાં સતત નવા કેસ આવી રહ્યા હોવાથી આ નિર્ણય લેવામાં આવ્યો હતો.


બુધવારે રાજ્યના ગૃહ મંત્રી નરોત્તમ મિશ્રાએ જણાવ્યું કે, ભોપાલમાં 24 જુલાઈ રાત્રે 8 વાગ્યાથી આગામી 10 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાદવામાં આવશે. જે 3 ઓગસ્ટ સુધી અમલી રહેશે. આ દરમિયાન જરૂરી વસ્તુઓની દુકાનો ખુલ્લી રહેશે, તે સિવાય તમામ વસ્તુઓ બંધ રહેશે. ભોપાલમાં સંક્રમણના દરને જોતાં રાજ્ય સરકારે આ ફેંસલો લીધો હોવાનું તેમણે કહ્યું હતું.



લોકડાઉન દરમિયાન ભોપાલથી બહાર નીકળવા કે આવવા પર પ્રતિબંધ રહેશે. તંત્ર દ્વારા ઈ-પાસ આપવામાં આવશે. ગૃહ મંત્રીએ બે દિવસમાં લોકોને જરૂરી સામાનનો સંગ્રહ કરીને ઘરમાં મુકી રાખવા અપીલ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વધી રહેલા કોરોના સંક્રમિત કેસને લઈને પહેલેથી જ શનિવાર અને રવિવારે લોકડાઉન લાગુ છે. જ્યારે રાતે 8 વાગ્યાથી કર્ફ્યૂ પણ લગાવવામાં આવ્યું છે. ભોપાલમાં સંક્રમિતોની સંખ્યા 4867 સુધી પહોંચી ગઈ છે. શહેરમાં કોરાથી અત્યાર સુધી 143 લોકોના મોત થઈ ચૂક્યા છે. 1,330 એક્ટિવ કેસ છે અને 3,138 લોકો ઠીક થઈ ગયા છે.