ચેન્નઇઃ મદ્રાસ હાઇકોર્ટે AIADMKના 18 અયોગ્ય ધારાસભ્યો પર મોટો નિર્ણય આપ્યો છે. હાઇકોર્ટે સ્પીકરના નિર્ણયને યોગ્ય ઠેરવતા 18 ધારાસભ્યોને અયોગ્ય ઠેરવ્યા છે. આ 18 ધારાસભ્યો શશિકલાના ભત્રીજા ટીટીવી દિનાકરણ પક્ષના છે. મદ્રાસ હાઇકોર્ટેના આ નિર્ણય બાદ મુખ્યમંત્રી પલાનીસ્વામીની સરકાર અલ્પમતમાં આવવાનો ખતરો ટળી ગયો છે.

છેલ્લા વર્ષે સ્પીકરે આ તમામ ધારાસભ્યોને પક્ષ બદલવાના કાયદા હેઠળ અયોગ્ય ઠેરવ્યા હતા. સ્પીકરના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવામાં આવ્યો જેના પર જૂનમાં બે જજની બેન્ચે અલગ અલગ ચુકાદો આપ્યો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટે જસ્ટિસ સત્યનારાયણને તેના પર ચુકાદો આપવા નિમણૂક કરી હતી.

હાઇકોર્ટના ચુકાદા બાદ ટીટીવી દિનાકરણે કહ્યું કે, આ અમારા માટે ઝટકા સમાન છે. આ અમારા માટે એક અનુભવ છે. અમે પરિસ્થિતિનો સામનો કરીશું. ભવિષ્યમાં શું પગલા ભરશું તેનો નિર્ણય 18 ધારાસભ્યો સાથેની બેઠક બાદ કરીશુ.