Mahakumbh 2025 fire: પ્રયાગરાજ મહાકુંભ મેળા વિસ્તારમાં આગ લાગવાના સમાચાર સામે આવ્યા છે. આ આગ એટલી ગંભીર હતી કે આગના ધુમાડા દૂરથી જોઈ શકાતા હતા. આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આ આગના કારણે કુંભની આસપાસના તંબુઓને પણ અસર થઈ હતી અને ટેન્ટમાં રાખવામાં આવેલા સિલિન્ડરો સતત બ્લાસ્ટ થઈ રહ્યા હતા.


મહાકુંભ વિસ્તારમાં લાગેલી આ ભીષણ આગ એટલી પ્રચંડ હતી કે તેમાં ૨૦ થી ૨૫ ટેન્ટ બળીને ખાખ થઈ ગયા હતા. અખાડાથી આગળના રોડ પર લોખંડના પુલ નીચે આ આગ લાગી હતી. વહીવટીતંત્ર દ્વારા રાહત અને બચાવની કામગીરી તાત્કાલિક શરૂ કરવામાં આવી હતી અને કોઈ વ્યક્તિ ફસાયું ન હોય તેની તકેદારી રાખવામાં આવી રહી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ વિસ્તારમાં આગની ઘટનાની નોંધ લીધી હતી. મુખ્યમંત્રીની સૂચનાથી વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર રહ્યા હતા અને મુખ્યમંત્રીએ ઘાયલોને યોગ્ય સારવાર આપવાની સૂચના આપી હતી.


મહાકુંભમાં લાગેલી આગ પર આખરે કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો, પરંતુ આ આગને કારણે ઘણા કેમ્પ બળીને રાખ થઈ ગયા હતા. ફાયર બ્રિગેડની અડધો ડઝન ગાડીઓએ આગ પર કાબૂ મેળવ્યો હતો. સેક્ટર ૧૯ અને સેક્ટર ૫ની બોર્ડર પર ઓલ્ડ જીટી રોડ ક્રોસિંગ પાસે આ ભીષણ આગ લાગી હતી. સૌપ્રથમ વિવેકાનંદ કેમ્પમાં આગ લાગી હતી. આગ સ્પાર્ક કે ઇલેક્ટ્રિકલ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાની આશંકા છે. આગના કારણે આ કેમ્પ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયો હતો.






આ સાથે નજીકના અન્ય કેમ્પોને પણ તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા. આગને કારણે અન્ય ઘણા કેમ્પોને પણ અસર થઈ હતી, જોકે સદનસીબે આગ કાબૂમાં આવી ગઈ હતી. હજુ સુધી કોઈ ભક્તના નુકસાન અંગે કોઈ માહિતી સામે આવી નથી. નિર્મળ આશ્રમના સ્વામી શ્રી ગોપી હરિજી મહારાજે જણાવ્યું હતું કે મહાકુંભમાં આગમાં ૬ સિલિન્ડર ફાટ્યા હતા અને બાકીના સિલિન્ડર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. લગભગ ૧૦,૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં આગ લાગી હતી. આખા વિસ્તારનું કાપડ બળી ગયું હતું અને માત્ર વાંસની લાકડીઓ જ બચી હતી. આ આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ૨૦ જેટલી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.


આ પણ વાંચો....


FIR on Rahul Gandhi: નિવેદન દિલ્હીમાં અને કાર્યવાહી ગુવાહાટીમાં, રાહુલ ગાંધી વિરુદ્ધ ગંભીર કલમો હેઠળ FIR નોંધાઈ