Mahakumbh 2025: ગુજરાતના સુરતથી પ્રયાગરાજ જતી ટ્રેન પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ટ્રેનમાં મોટાભાગના મુસાફરો મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા હતા. જ્યારે ટ્રેન સુરતથી નીકળીને મહારાષ્ટ્રના જલગાંવમાંથી પસાર થઈ રહી હતી, ત્યારે ટ્રેનની બારીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારાને કારણે એસી કોચનો કાચ તૂટી ગયો, જેના કારણે ટ્રેનમાં કાચ વેરવિખેર થઈ ગયા. કોચમાં મુસાફરી કરી રહેલા મુસાફરોએ એક વીડિયો બનાવીને આ સમગ્ર ઘટનાની માહિતી આપી છે. આ સમગ્ર મામલાની ફરિયાદ રેલવેને પણ કરવામાં આવી છે.


મળતી માહિતી મુજબ, આ ઘટના રવિવારે બપોરે લગભગ 3:20 વાગ્યે બની હતી. જ્યારે DSCR/BSL ને આ મેસેજ મળ્યો હતો કે ટ્રેન નંબર 19045 તાપ્તીગંગા એક્સપ્રેસના કોચ નંબર B-6ના બર્થ નંબર 33-39 પાસે કાચ પર પથ્થર ફેંકવામાં આવ્યો છે. જેના કારણે બારીનો કાચ તૂટી ગયો હતો. આ સંદર્ભે ફરજ પર તૈનાત ડિપ્ટી. સીટીઆઇ/એસટી સોહનલાલે જણાવ્યું હતું કે, તાપ્તીગંગા એક્સપ્રેસ જલગાંવ સ્ટેશન પરથી રવાના થઇ તો આઉટર પર કોઇએ બારી પર પથ્થર ફેંક્યો હતો.


સોહનલાલે જણાવ્યું કે 20-22 વર્ષના છોકરાએ કાચ પર પથ્થર ફેંક્યો હતો, જેના કારણે બારીનો કાચ તૂટી ગયો હતો. તેમણે એમ પણ જણાવ્યું હતું કે આ ઘટનામાં કોઈ મુસાફર ઘાયલ થયાના અહેવાલ નથી. આ કેસમાં ડેપ્યુટી ઇન્સ્પેક્ટર એનકે સિંહે ભુસાવલ સ્ટેશન પર ટ્રેનમાં તપાસ કરી હતી અને ડેપ્યુટી સીટીઆઈનું નિવેદન નોંધ્યું હતું. આ સંદર્ભે એક મેમો જાહેર કરવામાં આવ્યો છે. જ્યાં પથ્થરમારો થયો હતો ત્યાં ઇન્સ્પેક્ટર જલગાંવ અને સબ ઇન્સ્પેક્ટર મનોજ સોની હાજર રહ્યા હતા.


કોઈ માહિતી મળી નથી.


ઘટનાસ્થળે પહોંચેલા જલગાંવના ઇન્સ્પેક્ટર અને અન્ય અધિકારીઓ તરફથી કોઈ માહિતી મળી નથી. પથ્થરમારો કર્યા પછી તે વ્યક્તિ ત્યાંથી ભાગી ગયો હશે. આ કેસમાં સાંજે લગભગ 5 વાગ્યે રેલ્વે અધિકારીઓએ RPF પોલીસ સ્ટેશન જલગાંવમાં એક અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. હાલમાં તેની તપાસ સબ ઇન્સ્પેક્ટર મનોજ સોનીને સોંપવામાં આવી છે.


મહાકુંભમાં જઇ રહ્યા હતા મોટાભાગના યાત્રાળુઓ


આ ટ્રેનમાં હાજર મોટાભાગના મુસાફરો પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કરવા જઈ રહ્યા છે. પથ્થરમારાથી ગભરાયેલા મુસાફરોએ તૂટેલા કાચનો વીડિયો બનાવ્યો છે અને સમગ્ર ઘટનાની વિગતો આપી છે. એટલું જ નહીં, મુસાફરોએ આ અંગે રેલવે અધિકારીઓને પણ જાણ કરી છે. હાલમાં સમગ્ર મામલાની તપાસ RPF દ્વારા કરવામાં આવી રહી છે.