મુંબઈઃ મહારાષ્ટ્રની રાજનીતિમાં રાતોરાત મોટો ઉલટફેર જોવા મળ્યો છે. ભાજપ અને એનસીપીએ મળીને મહારાષ્ટ્રમાં સરકાર બનાવી લીધી છે. દેવેન્દ્ર ફડણવીસે શનિવારે સવારે ફરી રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે જ્યારે એનસીપીના અજિત પવારે ડેપ્યુટી સીએમ પદના શપધ લીધા છે.


મુખ્યમંત્રી તરીકે શપથ લીધા બાદ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે, લોકોએ અમને સ્પષ્ટ જનાદેશ આપ્યો હતો, શિવસેનાએ જનાદેશનું અપમાન કર્યું છે. મહારાષ્ટ્રની જનતાને સ્થિર અને કાયમી સરકાર જોઈએ છે, ખીચડી સરકાર નહીં. સીએમ ફડમવીસે કહ્યું કે, મહારાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટે એનસીપીની સાતે મળીને કામ કરશે.

જણાવીએ કે, મહારાષ્ટ્રમાં અત્યાર સુધી એનસીપી, કોંગ્રેસ અને શિવસેના જ સરકાર બનવાની કવાયતમાં લાગ્યા હતા. તેમની વચ્ચે અનેક તબક્કામાં બેઠકો પણ થઈ, જેમાં સરકારની બ્લૂપ્રિન્ટ તૈયાર કરવા પર વાતચીત થઈ.

આ પહેલા શુક્રવારે એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાની બે કલાક સુધી બેઠક થઈ, જેમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ઉદ્ધવ ઠાકરેના નામ પર સહમતિ દર્શાવી હતી. આ બેઠક બાદ એનસીપી પ્રમુખ શરદ પવારે કહ્યું હતું કે મુખ્યમંત્રીના પદ માટે ઠાકરેના નામ પર સહમતિ થઈ છે. પરંતુ શનિવારે સવારે મોટા ઉલટફેરની વચ્ચે ભાજપે રાજ્યમાં એનસીપીની સાથે સરકાર બનાવી લીધી અને શિવસેના અને કોંગ્રેસ જોતા જ રહી ગયા.