પુણેઃ મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણી પરિણામો જાહેર થયા બાદ અનેક રાજકીય ઉતાર-ચઢાવ બાદ આખરે શિવસેના-એનસીપી-કોંગ્રેસના ગઠબંધન સરકાર બનાવી હતી. રાજ્યના મુખ્યમંત્રી તરીકે શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની વરણી કરવામાં આવી હતી. આજે ઠાકરેએ એક કાર્યક્રમમાં જણાવ્યું કે, ઓછા ધારાસભ્યો સાથે કેવી રીતે સરકાર બનાવી શકાય તે વાત અમને શરદ પવારે શીખવાડી છે.

બીજેપીના નેતા અને પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસને ટોણો મારતાં ઠાકરેએ કહ્યું, તેઓ કહેતા હતા કે બીજેપી સૌથી મોટી પાર્ટી છે પરંતુ અમે ઓછા ધારાસભ્યો હોવા છતાં પણ બહુમત સાથે સરકાર બનાવી લીધી. પુણેમાં વસંતદાદા શુગર ઈન્સ્ટિટ્યૂટમાં આયોજિત કાર્યક્રમમાં બોલતાં ઠાકરેએ ખેડૂતોનું તમામ દેવું માફ કરવામાં આવશે તેવો ભરોસો પણ આપ્યો હતો.

થોડા દિવસો પહેલા મહારાષ્ટ્ર સરકારે 1 એપ્રિલ, 2015થી 31 માર્ચ, 2019 દરમિયાન ખેડૂતોના બે લાખ રૂપિયા સુધીનું કૃષિ ઋણ માફ કરવાની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રમાં ભાજપ અને શિવસેનાએ સાથે મળીને વિધાનસભા ચૂંટણી લડી હતી, પરંતુ બાદમાં શિવસેના સીએમ પદ પર અડગ રહેતા ગઠબંધન તૂટ્યું હતું.

24 ઓક્ટોબરે પરિણામ આવ્યા બાદ એક મહિનાથી વધારે ચાલેલા નાટકીય ઘટનાક્રમ બાદ શિવેસના,એનસીપી અને કોંગ્રેસે સાથે મળીને સરકાર બનાવી હતી. 28 નવેમ્બરે શિવસેનાના ચીફ ઉદ્ધવ ઠાકરેએ સીએમ પદના શપથ લીધા હતા. મહારાષ્ટ્ર અને ઠાકરે પરિવારના ઇતિહાસમાં ફેમિલીના કોઈ સભ્યએ સીએમ પદના શપથ લીધા હોય તેવી પ્રથમ ઘટના હતી.


PM મોદીએ લખનઉમાં વાજપેયીની 25 ફૂટ ઊંચી પ્રતિમાનું કર્યુ અનાવરણ, જાણો વિગત