Maharashtra Crisis: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદેથી ઉદ્ધવ ઠાકરેના રાજીનામા બાદ ભાજપ સરકાર બનવાની તૈયારીમાં છે. તેની ખુશી ભાજપની છાવણીમાં સ્પષ્ટ જોવા મળી રહી છે. દેવેન્દ્ર ફડણવીસ તાજ પ્રેસિડેન્સી હોટલ પહોંચ્યા હતા. અહીં તેમણે મીઠાઈ વહેંચીને ખુશી મનાવી હતી. આ પ્રસંગે મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન ધારાસભ્યોએ 'હમારા મુખ્યમંત્રી કૈસા હો,દેવેન્દ્ર ફડણવીસ જૈસા હો'ના નારા લગાવ્યા હતા.






સૂત્રોએ જણાવ્યું હતું કે સરકાર બનાવવાનો દાવો કરવા માટે કેન્દ્રીય નેતૃત્વ અને ફડણવીસ વચ્ચે વાતચીત થઈ છે.ભાજપ સરકાર રચવા માટે રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીના આમંત્રણની રાહ જોઈ રહ્યો છે. એવું માનવામાં આવે છે કે ફડણવીસ આગામી સરકારના વડા હશે અને શિવસેનાના બળવાખોર એકનાથ શિંદે આ સરકારમાં તેમના નાયબ હશે. શિંદેની છાવણીના ધારાસભ્યોને અનેક મહત્વપૂર્ણ મંત્રાલયો મળી શકે છે, આ માટે ભાજપે એક ફોર્મ્યુલા તૈયાર કરી છે.


સુપ્રીમ કોર્ટનો ઇનકાર


વાસ્તવમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ રાજ્ય વિધાનસભાના સચિવને આવતીકાલે સવારે 11 વાગ્યે ઠાકરે સરકારનો ફ્લોર ટેસ્ટ કરવા કહ્યું હતું. શિવસેનાએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે ત્રણ કલાકથી વધુ સમય સુધી સુનાવણી કર્યા બાદ લગભગ 9 વાગે પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે ફ્લોર ટેસ્ટ પર સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો.


આ પછી તરત જ ઉદ્ધવ ઠાકરેએ ફેસબુક લાઇવ મારફચે રાજ્યની જનતાને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. તેમણે એમએલસીના પદેથી પણ રાજીનામું આપ્યું હતું. પોતાના કાર્યકાળ દરમિયાન લીધેલા નિર્ણયોનો પણ ઉલ્લેખ કર્યો હતો. . આ સાથે કોંગ્રેસ અને NCP નેતૃત્વનો આભાર માન્યો હતો.


રાજકીય ઉથલપાથલ વચ્ચે દેવેન્દ્ર ફડણવીસે મંગળવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. આ પછી ફડણવીસ રાજ્યપાલને મળ્યા અને ત્યારબાદ તેમણે ફ્લોર ટેસ્ટ માટે આદેશ આપ્યો હતો.