ઔરંગાબાદ: રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી) પ્રમુખ શરદ પવારે કહ્યું કે, મહારાષ્ટ્રના ભાજપ સરકાર સામે ખૂબ જ અસંતોષ છે અને પુલવામા જેવી ઘટના જ ચૂંટણી પહેલા આ સ્થિતિને બદલી શકે છે. પ્રેસ કોન્ફરન્સમાં પવારે આ વાત કરી હતી. ઉલ્લેખનીય છે મહારાષ્ટ્ર-હરિયાણામાં ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. આ બન્ને રાજ્યમાં 21 ઓક્ટોબરે મતદાન યોજાવાનું છે અને 24 ઓક્ટોબરે પરિણામ જાહેર કરાશે.


શરદ પવારે કહ્યું કે, લોકસભા ચૂંટણી 2019 પહેલાં લોકોમાં નરેન્દ્ર મોદી માટે ખૂબ ગુસ્સો હતો. પરંતુ પુલવામા હુમલાએ સમગ્ર સ્થિતિ બદલી નાખી હતી. પવારે કહ્યું કે ચૂંટણી પહેલા રાજ્યસરકાર સામે લોકોમાં ગુસ્સો દેખાઈ રહ્યો છે. તેઓએ કહ્યું માત્ર પુલવામાં હુમલા જેવી સ્થિતિ જ લોકોનો મૂડ બદલી શકે છે.

ઉલ્લેખનીય છે કે વર્ષે 14 ફેબ્રુઆરીએ જમ્મુ-કાશ્મીરના પુલવામામાં સીઆરપીએફના જવાનોની ટૂકડી પર આતંકી હુમલો થયો હતો જેમાં 40 જવાન શહીદ થયા હતા. ત્યારબાદ ભારતે 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનમાં આવેલા બાલાકોટમાં આતંકી સંગઠન પર એર સ્ટ્રાઈક કરી હતી. રાજકીય વિશ્લેષકો માને છે કે એર સ્ટ્રાઈકથી મોદી સરકારની લોકપ્રિયતામાં વધારો થયો છે.

પીએમ મોદી પર પ્રહાર કરતા પવારે કહ્યું કે, પીએમ મોદીએ ટીકા કરતા પહેલા પાકિસ્તાન વિશે મેં આપેલા નિવેદન અંગે જાણવું જોઈતું હતું. નાશિકમાં એક રેલી દરમિયાન પીએમ મોદીએ દાવો કર્યો હતો કે પવારે હાલમાંજ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે તેન પાકિસ્તાન સારુ લાગે છે.

પૂર્વ કેન્દ્રીય મંત્રીએ કહ્યુ, મોદી સરકારના કાર્યકાળમાં લોકોએ ઈડી અને સીબીઆઈ જેવી તપાસ એજન્સીઓનું અસ્તિત્વ જાણ્યું. મેં ઘણાં વડાપ્રધાન સાથે કામ કર્યું છે પરંતુ એજન્સીઓનો આવો દૂરઉપયોગ ક્યારેય નથી જોયો.

ગુજરાતમાં 4 વિધાસનભાની પેટાચૂંટણી જાહેર, કઈ કઈ બેઠક પર યોજાશે ચૂંટણી?