મુંબઈ: મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના (Corona Virus) સંક્રમણમાં સતત વધારો થઈ રહ્યો છે. તેને ધ્યાનમાં રાખતા રવિવારે રાજ્યના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray)એ સંબંધિત અધિકારીઓ સાથે કોરોના સંક્રમણની સ્થિતિને લઈને એક મહત્વની બેઠક યોજી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રીએ અધિકારીઓને નિર્દેશ આપ્યા કે જો લોકો કોરોનાના નિયમોનું પાલન કરતા નથી તો લોકડાઉનનો રોડમેપ તૈયાર કરવામાં આવે. 


રાજ્યમાં ફરી એકવાર  લોકડાઉન (Lockdown)લગાવવા તરફ ઇશારો કરતા મુખ્યમંત્રી ઠાકરેએ કહ્યુ કે, તમામ નિયમોનું કડક પાલન થાય, જો લોકો ન માને તો લોકડાઉન માટે રોડમેપ તૈયાર કરો. 


ઉદ્ધવ ઠાકરેએ બેઠકમાં સતત વધી રહેલા કોરોનાના કેસને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યુ કે, વધતા કેસને કારણે સ્વાસ્થ્ય સુવિધાઓ ઓછી પડવા લાગી છે. બેઠકમાં સરકારે નિર્ણય કર્યો કે હવે મંત્રાલયો સહિત તમામ સરકારી ઓફિસમાં મુલાકાતી પર આગામી આદેશ સુધી પ્રતિબંધ રહેશે.


હાલમાં વેન્ટિલેટર અને આઇસોલેશન બેડની શું છે  સ્થિતિ 


જાણકારી પ્રમાણે 3 લાખ 57 હજાર આઇસોલેશન બેડમાંથી 1 લાખ 7 હજાર બેડ ભરેલા છે અને બાકી બેડ પણ ઝડપથી ભરાઈ રહ્યાં છે. 60 હજાર 349 ઓક્સિઝન બેડમાંથી 19 હજાર 930 બેડ ભરાઈ ગયા છે. 


9 હજાર 30 વેન્ટિલેટરમાંથી 1881 પર દર્દીઓને રાખવામાં આવ્યા છે. કેટલાક જિલ્લામાં બેડ ઉપલબ્ધનથી અને સંક્રમણ વધરાને કારણે સુવિધા ઓછી પડી રહી છે. 


ભારતમાં કોરોના સંક્રમણ (Coronavirus) અટકવાનું નામ જ નથી લઈ રહ્યું. સતત બીજા દિવસે 62 હજારથી વધુ કોરોના કેસ આવ્યા છે. જે આ વર્ષે સૌથી વધુ છે. આરોગ્ય મંત્રાલયના (Union Health Ministry) તાજેતરના અહેવાલ મુજબ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડા પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 312 લોકોના મોત અને 62,714 કેસ નોંધાયા છે.



આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા પ્રમાણે, દેશમાં છેલ્લા 24 કલાકમાં 62,714 નવા કેસ (Corona Cases) અને 312 લોકોના મોત થયા છે. જ્યારે 28,739 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસ 1,19,71,624 થયા છે. જ્યારે 1,13,23,762 લોકો કોરોનાથી મુક્ત થઈ ગયા છે. હાલ 4,86,310 એક્ટિવ કેસ છે. જ્યારે કુલ મૃત્યુઆંક 1,61,552 છે. દેશમાં કુલ 6,02,69,782 લોકો કોરોનાની રસી લઈ ચુક્યા છે.