મુંબઈઃ  મહારાષ્ટ્ર કેબિનેટની બુધવારે મળેલી બેઠકમાં મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો.  જે મુજબ શહેરના બાંદ્રા-કુર્લા કોમ્પલેક્સ અને નરીમાન પોઇન્ટ વિસ્તારમાં 27 જાન્યુઆરીથી મોલ, રેસ્ટોરન્ટ, પબ, મલ્ટીપ્લેક્સ અને દુકાનો 24 કલાક ખુલી રહેશે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી હતી. બેઠક બાદ પર્યટન મંત્રી આદિત્ય ઠાકરેએ જણાવ્યું કે, આને પાયલટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવ્યો છે. સફળ રહેશે તો સમગ્ર મુંબઈમાં લાગુ કરાશે.


હજારો લોકોને રોજગારી મળવાનો સરકારનો દાવો

આ ફેંસલા બાદ લોકો વિદેશની જેમ માયાનગરી મુંબઈમાં નાઇટલાઇફની મજા માણી શકશે. સરકારનું માનવું છે કે નાઇટલાઇફથી હજારો લોકોનો રોજગારી મળશે. જોકે, નાઈટલાઈફ દરમિયાન લોકોને શરાબ પીવાની મંજૂરી નથી આપવામાં આવી. મુંબઈના 25 મોલ્સને 24 કલાક ખુલ્લા રાખવાની મંજૂરી આપવામાં આવી છે.

આ સુવિધા ફરજિયાત કરવી પડશે

મુંબઈમાં નાઈટલાઈફ શરૂ કરવાને લઈ સરકારે સુરક્ષા સંબંધિત અનેક સુધારા કર્યા છે. જે દુકાન, મોલ, હોટલ, રેસ્ટોરન્ટ રાત્રે ખુલ્લા હશે ત્યાં પાર્કિંગ અને CCTVની વ્યવસ્થા ફરજિયાત કરવાની રહેશે.


શનિવારે મહારાષ્ટ્રના પર્યટન મંત્રીએ કહ્યું હતું કે, લંડન અને મધ્ય પ્રદેશના ઈન્દોરની જેમ મુંબઈમાં પણ નાઈટ લાઈફ યોજનાની શરૂઆત થવી જોઈએ. જેવી રીતે આપણે ઓનલાઇન શોપિંગ 24 કલાક કરી શકીએ છીએ તેવી રીતે શોપિંગ મોલ, પબ અને રેસ્ટોરાં પણ ખુલ્લી રહેશે. આદિત્યએ કહ્યું હતું, આ મામલે કોઇની સાથે જબરદસ્તી નહીં કરવામાં આવે, તે દુકાનના માલિક પર નિર્ભર રહેશે.

આદિત્ય ઠાકરેએ ભાજપ અને શિવસેના ગઠબંધન સરકારના કાર્યકાળ દરમિયાન આ પ્રસ્તાવ રાખ્યો હતો. પરંતુ તેને ફગાવી દેવામાં આવ્યો હતો. આદિત્યના પ્રસ્તાવ બાદ અનેક નેતાઓના તેની વિરુદ્ધમાં નિવેદન આવ્યા હતા. ભાજપ નેતા રાજ પુરોહિતે કહ્યું હતું કે, મુંબઈમાં મોલ, રેસ્ટોરન્ટ અને પબ 24 કલાક ખુલ્લા રહેશે તો મહિલાઓ સામે અપરાધમાં વધારો થઈ શકે છે અને નિર્ભયા જેવા મામલા સામે આવશે.