મુંબઈઃ મહારાષ્ટ્ર સરકારે બુધવારે પોતાના અધિકારીઓ અને કર્મચારીઓ માટે 29 ફેબ્રુઆરીથી પાંચ દિવસના કાર્ય સપ્તાહની જાહેરાત કરી છે. એવામાં સપ્તાહમાં સરકારી કર્મચારીઓને હવે બે દિવસની રજા મળશે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની અધ્યક્ષતામાં યોજાયેલ રાજ્ય કેબિનેટની બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે.


મહારાષ્ટ્રમાં સરકારી, અર્ધસરકારી અને સ્થાનીક નિગમોમાં 20 લાખથી વધારે અધિકારી અને કર્મચારી છે. અત્યાર સુધી મહારાષ્ટ્રમાં સરકારી કર્મચારીને મહિનામાં છ દિવસની રજા મળતી હતી. દર મહિને રવિવાર ઉપરાંત પ્રથમ અને ચોથા શનિવારે રજા આપવામાં આવતી હતી.

મંત્રિમડળે એ પણ નિર્ણય કર્યો છે કે, ઓબીસી, એસઈબીસી (સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ), વીજેનટી (વિમુક્ત જાતિ અને ફરતા આદાવિસીઓ) અને વિશેષ પછાત વર્ગ માટે રાજ્યના વિભાગ હવે બહુજન કલ્યાણ વિભાગના નામથી ઓળખાશે.

આ સિવાય મહારાષ્ટ્ર સરકારે ‘શિવ ભોજન’યોજના પણ આખા રાજ્યમાં લાગુ કરી છે. જેમાં મહારાષ્ટ્ર ગરીબ અને જરુરિયાતમંદ લોકોને 10 રુપિયામાં ભોજન આપવામાં આવશે. આ યોજના પ્રમાણે રાજ્ય સરકાર પાયલોટ પરિયોજના શરુ કરવા માટે 6.4 કરોડ રુપિયા ખર્ચ કરશે. જે ત્રણ મહિના સુધી ચાલશે. દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક ‘શિવ ભોજન’ કેન્ટિન શરુ કરવામાં આવશે.