નવી દિલ્હી: મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રેલવે ટ્રેક પર થયેલી દુર્ઘટના બાદ પણ ટ્રેકના સહારે પ્રવાસી મજૂરોનો વતન જવાનો સિલસિલો યથાવત છે. મહારાષ્ટ્રથી રેલવે ટ્રેક પર થઈને પોતાના ઘરે જવા માટે શ્રમિકો સતત જઈ રહ્યાં છે. એવામાં ઔરંગાબાદની ઘટના હજુ ભૂલાઈ નથી ત્યાં પૂણે નજીક રેલવે પાટા પર એક મોટી દૂર્ઘટના થતા થતા ટળી ગઈ.


પૂણે પાસે ઉરલી અને લોણી સ્ટેશન વચ્ચે ગત શુક્રવારની સાંજે રેલવે ટ્રેક પર તે વખતે મોટી દુર્ઘટના ટળી ગઈ, જ્યારે એક માલગાડી પૂર ઝડપે આવી રહી હતી. આ દરમિયાન ટ્રેનના લોકો ડ્રાઈવરને ટ્રેક પર કેટલાક લોકો બેઠેલા અને જતાં નજર આવ્યા, લોકો પાયલટે તત્કાલ ટ્રેનનું હોર્ન વગાડવાનું શરૂ કર્યું અને સતર્કતા દર્શાવી ઇમરજન્સી બ્રેક માર્યો હતો અને ટ્રેક પર ચાલી રહેલા 20 પ્રવાસીઓની 100 મીટર પહેલા જ ટ્રેનને રોકી લીધી હતી. આ ટ્રેન ચાલકની સતર્કતાથી શ્રમિકોનો જીવ બચી ગયો જે ટ્રેકના સહારે પોતાના વતન જઈ રહ્યાં હતાં.

આ ઘટનાની જાણકારી તત્કાલ નજીકના પ્રશાસનને આપવામાં આવી હતી. તેના બાદ રેલવે ટ્રેક પરથી જઈ રહેલા મજૂરોને હટાવવામાં આવ્યા હતા, રેલવે પ્રશાસન સતત તે લોકોને અપીલ કરી રહી છે કે, પ્રવાસી મજૂરો રેલેવે ટ્રેકનો ઉપયોગ ના કારે કારણે તેના પર ચાલવું મોટો ખતરો છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં જ મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ટ્રેન ચડી જતા 14 જેટલા મજૂરોના મોત થયા હતા. ટ્રેકના રસ્તે જઈ રહેલા મજૂરો માલગાડીની અડફેટે આવી ગયા હતા.