કોલકત્તાઃ લોકસભા ચૂંટણીમાં પશ્વિમ બંગાળમાં ભાજપના દમદાર પ્રદર્શન બાદ પશ્વિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પોતાનો ગઢ બચાવવા તમામ પ્રયાસો કરી રહ્યા છે. સૂત્રોના મતે તે વિધાનસભા ચૂંટણી માટે જાણીતા રણનીતિકાર પ્રશાંત કિશોરની મદદ લેવા જઇ રહી છે. આજે કોલકાતામાં પ્રશાંત કિશોર અને મમતા બેનર્જી વચ્ચે થયેલી મુલાકાત બાદ પ્રશાંત કિશોરે ખુદ આ વાતની પુષ્ટિ કરી છે. તેઓ લગભગ એક મહીના ટીએમસી માટે રણનીતિ બનાવવાનું કામ શરુ કરશે. તેઓ પોતાની ચૂંટણી રણનીતિ પર કામ કરનારી સંસ્થા ઈન્ડિયન પોલીટિકલ એક્શન કમિટી(IPAC) દ્વારા મમતા બેનર્જી માટે ચૂંટણી રણનીતિ બનાવવાનું કામ કરશે. બંગાળમાં 2021માં વિધાનસભા ચૂંટણી થવાની છે.

સૂત્રોના મતે પ્રશાંત કિશોરે કોલકત્તામાં મમતા બેનર્જી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બે કલાક ચાલી હતી. મુલાકાત દરમિયાન મમતાએ પ્રશાંત કિશોર સમક્ષ ટીએમસી માટે કામ કરવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જેના પર પ્રશાંત કિશોરે સહમતિ વ્યક્ત કરી છે. ટીએમસી સુપ્રીમો મમતા બેનર્જીએ 2011માં પશ્વિમ બંગાળની કમાન સંભાળી હતી. તેમણે 34 વર્ષથી સત્તામાં રહેલા લેફ્ટને હરાવ્યું હતું.