નવી દિલ્લીઃ નોટબંદીને લઇને મોદી સરકારની ચારેતરફથી વિપક્ષ ટીકા કરી રહ્યુ છે. વિરોધ પક્ષો સંસદમાં પણ મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને વોટિંગ હેઠળ ચર્ચાની માંગ કરી રહ્યા છે તો આજે દિલ્લીના આઝાદપુર બજારમાં યોજાયેલી એક રેલીમાં મમતા બેનર્જી અને અરવિંદ કેજરીવાલે મોદી સરકારની ટીકા કરી હતી.


મમતા બેનર્જીએ ત્રણ દિવસની અંદર નોટબંદી પર લેવામાં આવેલો નિર્ણય પાછો ખેંચવાની માંગ કરી હતી જ્યારે અરવિંદ કેજરીવાલે કહ્યું કે નોટબંદીની આડમાં મોદી સરકાર ભ્રષ્ટાચાર કરી રહી છે.

દિલ્લીના મુખ્યમંત્રીએ આરોપ લગાવતા કહ્યું કે, વડાપ્રધાન મોદીએ ઉદ્યોગપતિ વિજય માલ્યાને વિદેશ ભગાડી મુક્યો છે. માલ્યા પર બેન્કોનું દેવું છે. કેજરીવાલે કહ્યું કે નોટબંદીની આડમાં મોદી સરકાર 8 લાખ કરોડ રૂપિયાનું કૌભાંડ કરી રહી છે. 2000 રૂપિયાની નોટ આવવાથી લાંચમાં વધારો થયો છે.

નોટબંદી પરના નિર્ણયને જનતા વિરોધી ગણાવતા કેજરીવાલે સવાલો ઉઠાવ્યો હતો કે શું કોઇ અમીર બેન્કોની લાઇનમાં ઉભો છે. તેમણે કહ્યું કે, નોટબંદીની આડમાં બ્લેકમનીને સફેદ કરવામાં આવી રહી છે. પ્રજા પૈસા જમા કરાવી રહી છે અને સરકાર બિઝનેસમેનોના દેવા માફ કરી રહી છે.