મણિપુરમાં બે મહિલાઓને નગ્ન હાલતમાં ફેરવવાનો વીડિયો વાયરલ થયા બાદ દેશભરમાં ગુસ્સો છે.  દરમિયાન સુપ્રીમ કોર્ટે પણ આ ઘટનાનું જાતે જ સંજ્ઞાન લીધું હતું.  સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે મણિપુરમાં ગઈકાલે બે મહિલાઓને નગ્ન હાલતમાં ફેરવવામાં આવી હોવાનો જે વીડિયો સામે આવ્યો હતો તેનાથી તે પરેશાન છે. દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે સરકારને આ મામલે કાર્યવાહી કરવા કહ્યું છે. આ સિવાય ચીફ જસ્ટિસે કહ્યું હતું કે આવી ઘટનાઓને બિલકુલ સ્વીકારી શકાય નહીં. CJIએ કહ્યું કે આ બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન છે, જો સરકાર કાર્યવાહી નહી કરે તો અમે કરીશું.






ચીફ જસ્ટિસની કડક ટિપ્પણી


સુપ્રીમ કોર્ટે આ મામલે કાર્યવાહી કરવાના નિર્દેશ આપતા રાજ્ય સરકાર પાસેથી રિપોર્ટ પણ મંગાવ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે આવતા સપ્તાહે શુક્રવારે આ મામલે સુનાવણી થશે. આ મામલાને લઈને ચીફ જસ્ટિસ  ચંદ્રચૂડે કહ્યું કે, "આ વીડિયો જોઈને અમે ચોંકી ગયા છીએ. હિંસા પ્રભાવિત વિસ્તારમાં મહિલાઓનો સામાન તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમને એ જાણકારી આપવામાં આવે છે જે લોકો આ માટે જવાબદાર છે તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી છે."


પીએમ મોદીએ શું નિવેદન આપ્યું


મણિપુરમાં બે મહિલાઓને નગ્ન અવસ્થામાં પરેડ કરાવવાની ઘટના પર દુઃખ વ્યક્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આ ઘટના કોઈપણ સંસ્કારી સમાજ માટે શરમજનક છે અને સમગ્ર દેશનું અપમાન છે. સંસદના ચોમાસુ સત્રની શરૂઆત પહેલા મીડિયાને સંબોધતા વડાપ્રધાને દેશવાસીઓને ખાતરી આપી હતી કે આ મામલામાં દોષિતોને છોડવામાં નહી આવે અને કડક કાર્યવાહી કરાશે. તેમણે કહ્યું, "મણિપુરની દીકરીઓ સાથે જે થયું છે તેના ગુનેગારોને ક્યારેય માફ કરી શકાય નહીં."










Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial